ન્યૂ યોકઃ મહાનગરના એક એપાર્ટમેન્ટમાં રવિવારે ભીષણ આગ લાગવાથી ૧૯ લોકોનાં મૃત્યુ થયા હતા. મૃતકોમાં ૯ બાળકોનો પણ સમાવેશ થાય છે. આગમાં ૩૨ લોકો દાઝી જતાં ઘાયલ છે, તે પૈકી નવની સ્થિતિ ગંભીર છે. બ્રોક્સ બોરો વિસ્તારમાં આ ઘટના નોંધાઈ હતી. ૧૯ માળની બહુમાળી ઇમારતમાં લાગેલી આગમાં ૨૨ લોકોને સાધારણ ઈજા પણ પહોંચી હતી.
ન્યૂ યોર્કના મેયર એરિક એડમ્સે ઘટના પ્રતિ દુઃખ જાહેર કરતાં ટ્વિટ કરીને જણાવ્યું હતું કે ઘટનામાં આપણે ૧૯ લોકોને ગુમાવી દીધા છે. મૃતકો માટે પ્રાર્થના કરવા અપીલ કરતાં તેમણે આગને ઝડપથી અંકુશમાં લેવા બદલ અગ્નિશમન દળનો આભાર માન્યો હતો. અગ્નિશમન વિભાગના વડા ડેનિયલ નીગ્રો પણ મેયર એડમ્સ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે, ડુપ્લેક્સ એપાર્ટમેન્ટના બીજા અને ત્રીજા માળે આગ લાગી હતી. એપાર્ટમેન્ટનો દરવાજો ખુલ્લો છોડી દેવામાં આવ્યો હોવાથી આગ અને ધુમાડો ૧૯ માળની ઇમારતમાં ઝડપથી ફેલાઈ ગયા હતા.
નીગ્રોએ જણાવ્યું હતું કે ડુપ્લેક્સ એપાર્ટમેન્ટમાં આગ લાગી લાગ્યાની ઘટનાની જાણ થતાં જ અગ્નિશમન દળના ત્રણ વાહનો ત્રણ જ મિનિટમાં ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સમગ્ર ઇમારતમાં ધુમાડો ફેલાઈ ગયો હતો.