વોશિંગ્ટન: અમેરિકામાં ભારતીય મૂળના સાંસદોના મતે ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંતસિંહ પન્નુની હત્યાના ષડયંત્રમાં પૂરતી તપાસ નહીં થાય તો ભારત-અમેરિકા સંબંધ ખતરામાં મુકાઈ શકે છે. ભારતવંશી પાંચ અમેરિકન સાંસદ એમી બેરા, પ્રમિલા જયપાલ, રો ખન્ના, રાજા કૃષ્ણમૂર્તિ તેમજ શ્રી થાનેદારે 15 ડિસેમ્બરે એક સંયુક્ત નિવેદનમાં કહ્યું હતું કે, ‘આ ખૂબ જ ગંભીર કેસ છે. આવું ભવિષ્યમાં કદી ના થાય તે બાબત ભારત સુનિશ્ચિત કરે. ભારત અમેરિકાની ભૂમિ પર આવું ષયંત્ર ના કરે અને તપાસમાં સહયોગ કરે.’ વાસ્તવમાં અમેરિકી સરકારે આરોપ લગાવ્યા હતા કે ન્યૂ યોર્કમાં પન્નુ પર જીવલેણ હુમલો કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. તેમાં ભારતની ભૂમિકા હતી. તે કાવતરાને નિષ્ફળ કરવામાં આવ્યું છે. જોકે અમેરિકાએ એ નથી જણાવ્યું કે હુમલો કયા દિવસે થવાનો હતો.
જૂન 2023માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાની મુલાકાત લીધી તે પછી તરત અમેરિકી અધિકારીએ ભારત સમક્ષ આ પ્રશ્ન ઉઠાવ્યો હતો. તે પછી અખબારી અહેવાલોમાં નવેમ્બર 2023માં આ બાબતે સ્પષ્ટતાઓ થઈ હતી.