નવી દિલ્હી: ભારત અને અમેરિકા વચ્ચે સૈન્ય સંબંધો સતત મજબૂત બની રહ્યાં છે. તે કારણે જ અમેરિકન સંરક્ષણ વિભાગના વડા મથક પેન્ટાગોનમાં ભારતના સંરક્ષણ અધિકારીઓને હવે કોઈ પણ પ્રકારની રોકટોક વિના અવરજવરની સુવિધા આપવામાં કરાઈ છે. અમેરિકન સંરક્ષણ વિભાગના એક ટોચના અધિકારીએ જણાવ્યું હતું ભારતીય સંરક્ષણ વિભાગની હવે પેન્ટાગોન સુધીની પહોંચ સરળ બની જશે. અમેરિકન વાયુસેનાના સચિવ ફ્રેન્ક કેન્ડલે સોમવારે ભારતીય સ્વતંત્રતા દિવસ પ્રસંગે ઇન્ડિયા હાઉસમાં અમેરિકામાં ભારતના રાજદૂત તરનજીતસિંહ સંધૂ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં આ એલાન કર્યું હતું. કેન્ડલે કહ્યું હતું કે આ પ્રકારના પગલા વિશ્વાસ અને સહયોગ સાથે જોડાયેલા છે. ભારત સાથે અમારા સંબંધ સહયોગના છે. કેન્ડલે કહ્યું હતું કે આજથી ભારતીય સંરક્ષણ ટીમ પેન્ટાગોનમાં કોઈ પણ સુરક્ષા વિના અવરજવર કરી શકશે. આ પગલું ભારત સાથે અમારા નજીકના સંબંધોને કારણે શક્ય બન્યું છે. ભારત અમારું મોટું સંરક્ષણ સહયોગી છે. અધિકારી કેન્ડલે કહ્યું હતું કે ભારત સાથે અમે કોઈ અન્ય દેશની તુલનામાં વધારે સંયુક્ત સૈન્ય અભ્યાસ કરીએ છીએ. અમારા સંબંધો લાંબા સમયથી પ્રગાઢ છે.