વોશિંગ્ટન : અમેરિકાના પૂર્વ સાંસદ તુલસી ગાબાર્ડે બાંગ્લાદેશના લઘુમતી હિન્દુઓ પર થતાં અત્યાચારનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે એક વીડિયો ટ્વિટ કર્યો હતો, જેમાં તેમણે ૧૯૭૧થી બાંગ્લાદેશમાં હિન્દુઓની જે સ્થિતિ છે તેના વિશે ચિંતા વ્યક્ત કરીને વિશ્વના તમામ નેતાઓને આ મુદ્દે સંગઠિત થવા અપીલ કરી હતી.
ટ્વીટમાં દુ:ખ વ્યક્ત કરતા તેમણે લખ્યું કે બાંગ્લાદેશમાં ભગવાનના ભક્તો પ્રત્યે આટલી નફરત જોઈને તેઓ ઊંડા દુ:ખની લાગણી અનુભવે છે. વીડિયોમાં તેમણે કહ્યું કે હિન્દુઓની દુકાનો અને મકાનોમાં લૂંટ ચલાવાઈ હતી અને તેના પર પીળા રંગથી એચ લખી દેવામાં આવ્યું હતું.
તેમણે ઉમેર્યું કે ૧૯૭૧માં પાકિસ્તાનના સૈન્યે બાંગ્લાદેશમાં લાખો બંગાળી હિન્દુઓની હત્યા કરી હતી. અસંખ્ય મહિલાઓ અને યુવતીઓ પર પાકિસ્તાની લશ્કરના સૈનિકોએ દુષ્કર્મ આચર્યું હતું.
ધર્મ ઝનૂની ઈસ્લામિક આતંકવાદીઓ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર ૫૦ વર્ષથી અત્યાચાર કરી રહ્યા છે. અમેરિકન સૈન્યમાં મેજર રહી ચૂકેલા ગાબાર્ડે જણાવ્યું કે ૨૫ માર્ચ, ૧૯૭૧ની રાત્રે પાકિસ્તાની સૈન્યે ઢાકા યુનિવર્સિટીમાં હિન્દુ સરાય જગન્નાથ હોલમાં હુમલો કર્યો હતો અને એક જ રાતમાં ત્યાં ૫થી ૧૦ હજાર લોકોની હત્યા કરી હતી