ટેક્સાસઃ ભારતીય અમેરિકન ડોક્ટર અશોક જૈને જરૂર વિના જ બ્રેઈન સ્ટિમ્યુલેશનની સારવાર કરાવવા તેમના પેશન્ટ્સ પર દબાણ કરતા હતા અને તે પછી સારવારના ખર્ચનું બિલ મેડિકેર પાસેથી વસૂલ કરતા હોવાનું કૌભાંડ બહાર આવ્યું છે. ડો. અશોક જૈન તેમના વિરુદ્ધના દાવાઓની પતાવટ માટે 3 મિલિયન ડોલર ચૂકવશે.
યુએસ એટર્નીઝ ઓફિસ, સધર્ન ડિસ્ટ્રિક્ટ ઓફ ટેક્સાસ દ્વારા જણાવ્યા અનુસાર61 વર્ષીય ડો. અશોક જૈન અને તેમની માલિકી અને સંચાલન હેઠળની સાઈકીઆટ્રિક કંપનીઓએ અયોગ્યપણે કરાયેલા મેડિકેર બિલિંગના દાવાઓની પતાવટ તરીકે 3 મિલિયન ડોલર ચૂકવવાની સંમતિ દર્શાવી છે. યુએસ એટર્ની આલમદાર એસ. હમદાનીએ જણાવ્યું હતું કે વયોવૃદ્ધ વસ્તી તેમજ સાઈકીઆટ્રિક સંભાળ અને કાઉન્સેલિંગ લેનારા લોકોનો ગેરલાભ ઉનાવનારા સામે અમારી ઓફિસ સક્રિય પગલાં લઈ કાનૂની કાર્યવાહી કરશે. સત્તાવાળાએ જણાવ્યું હતું કે ડો. જૈનના ક્લિનિક્સ – સાઈકીઆટ્રિક સોલ્યુશન્સ પી.સી., લોન્ગવ્યૂ સાઈકીઆટ્રિક સેન્ટર PLLC અને લોન્ગવ્યૂ સાઈકીઆટ્રિક સેન્ટર LP દ્વારા ટ્રાન્સક્રેનિયલ મેગ્નેટિક સ્ટિમ્યુલેશન(TMS) પ્રોસીજર્સ માટે ક્લેઈમ્સ રજૂ કરાયા હતા જે બીનજરૂરી હતા અથવા વાસ્તવમાં કરાવાયા જ ન હતા. ડિપ્રેશનની અન્ય સારવારો અસરકર્તા ન જણાય ત્યારે TMS પ્રોસીજર્સ કરવામાં આવે છે.
ડો. જૈને પેશન્ટ્સને જોયા-તપાસ્યા ન હોય ત્યારે પણ તેમના ફીઝિશિયન એસેસમેન્ટ્સના બિલ્સ પણ મેડિકેરને મોકલાતા હતા. સેટલમેન્ટ સમજૂતીમાં જમાવ્યા મુજબ ડો. જૈને 1 જાન્યુઆરી. 2015થી 31 ડિસેમ્બર 2021 સુધી આ સ્કીમ ચલાવી હતી. ક્લેઈમ્સની પતાવટમાં યુએસ સરકાર વતી કાનૂની દાવો દાખલ કરનારા લોકોને રીકવરીમાંથી 3 મિલિયન ડોલરની રકમ ચૂકવાશે.