વોશિંગ્ટનઃ ભારતીય અમેરિકન શંકર નાગપ્પા હાંગડુ (ઉં ૫૩)ની તાજેતરમાં પોલીસે ૪ વ્યક્તિની હત્યાના આરોપમાં ધરપકડ કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે, શંકર કાર લઈને પોલીસ મથક પહોંચ્યો હતો. તેણે કહ્યું કે, રોઝવિલેમાં ઘરમાં પરિવારના જ ચાર સભ્યોની તેણે હત્યા કરી છે! શંકર પોતાની કારમાં જ મૃતદેહ લઈને ફરી રહ્યો હતો. શંકરની કબૂલાત પછી પોલીસે કારમાંથી એક પુખ્ત અને બે બાળકોનાં મૃતદેહનો કબજો લીધો હતો. સાર્જન્ટ રોબર્ટ ગિબન્સે જણાવ્યું હતું કે, શંકર બપોરે ૧૬મીએ બપોરે ૧૨.૦૦ના સુમારે પોલીસ મથકે આવ્યો હતો. તેણે કહ્યું કે, તે હત્યાનો ગુનો કબૂલવા માગે છે. પોલીસ તેની વાત પર વિશ્વાસ નહોતી મૂકી રહી, પરંતુ જ્યારે તેની કાર અને તેના એપાર્ટમેન્ટમાંથી ચાર મૃતદેહો મળી આવતાં પોલીસ ચોંકી ગઈ હતી.
પોલીસે કહ્યું કે, આજ સુધી કોઈ માણસ મૃતદેહો સાથે પોલીસ મથક પહોંચ્યો હોય તેવું જાણમાં નથી. પોલીસ તપાસમાં જાણકારી મળી કે વીતેલા કેટલાક દિવસો દરમિયાન શંકરે આ હત્યાઓને અંજામ આપ્યો હતો. પોલીસને વિશ્વાસ છે કે, તમામ હત્યા શંકરે એકલાએ જ કરી હતી, પરંતુ નાગરિકોને તેનાથી કોઈ ખતરો હોવાનું નથી લાગતું.