વોશિંગ્ટનઃ મુંબઈમાં આતંકી હુમલામાં સંડોવણી બદલ ભારતની પ્રત્યર્પણની વિનંતીના પગલે અમેરિકામાં પાકિસ્તાની કેનેડિયન ઉદ્યોગપતિ તહવ્વુર રાણાની ૧૯મી જૂને લોસ એન્જેલસમાં ફરીથી ધરપકડ કરાઈ હતી. ૨૦૦૮માં મુંબઈમાં થયેલા હુમલામાં ૧૬૬ લોકોનાં મોત થયાં હતાં. મદદનીશ યુએસ એટર્ની જ્હોન જે. લુલેજિઆને કોર્ટને જણાવ્યું હતું કે, વર્ષ ૧૯૯૭માં થયેલી દ્વિપક્ષીય પ્રત્યર્પણ સંધિ મુજબ ભારત સરકારે રાણાની અટકાયતની ભારતમાં તેના પ્રત્યર્પણની વિનંતી કરી હતી.૫૯ વર્ષી તહવ્વુર રાણા ડેવિડ કોલમેન હેડલીનો મિત્ર હતો. તે આતંકવાદી જૂથોને સમર્થન કરવા બદલ દોષિત જણાતાં ૧૦ વર્ષ કરતાં વધુ સમયથી જેલમાં હતો. જોકે, તેણે કોરોના થયો હોવાને પગલે અમેરિકન કોર્ટમાં દયા યાચિકા કરી હતી, જેને પગલે કોર્ટે બે દિવસ પહેલાં જ છોડી મુક્યો હતો.