ન્યૂ યોર્કઃ વિશ્વમાં અમેરિકામાં કોરોનાએ સૌથી વધુ ભરડો લીધો હોવાના અહેવાલ વચ્ચે એક અહેવાલ પ્રમાણે યુએસમાં કોરોનાના લીધે ૪૦થી વધુ ભારતીયોનાં મોત થયાં છે અને ૧૫૦૦થી વધુ ભારતીયો સંક્રમિત છે. ન્યૂ યોર્ક અને ન્યૂ જર્સીમાં સૌથી વધુ ભારતીયોની જાનહાનિ થઈ છે.
ભારતીય સમુદાયના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ન્યૂ જર્સીમાં ૪૦૦થી વધારે ભારતીય-અમેરિકીનો પોઝિટિવ ટેસ્ટ આવ્યો છે. બીજી બાજુ, ન્યૂ યોર્કમાં આ સંખ્યા એક હજારથી વધારે થઈ છે. એક અહેવાલ પ્રમાણે ભારતીયોમાં કેરળના ૧૭, ગુજરાતના ૧૦, પંજાબના ૪, આંધ્ર પ્રદેશના ૨ અને ઓડિશાના એકનો સમાવેશ થાય છે. આ પૈકી એક સિવાય તમામની ઉંમર ૬૦ વર્ષથી વધારે છે. એક મૃતકની ઉંમર ૨૧ વર્ષ હતી. કમ્યુનિટી નેતાઓ પ્રમાણે મૃતકોમાંથી ૧૨થી વધારે લોકો ન્યૂ જર્સીમાં રહેતા હતા. સિંગાપુરમાં ૫૧થી વધુ ભારતીયો કોરોના પોઝિટિવ નોંધાયા છે.
આ ઉપરાંત પેન્સિલવેનિયા અને ફ્લોરિડામાં ૪, ટેક્સાસ અને કેલિફોર્નિયામાં એક-એક ભારતીય-અમેરિકીના મોતની પુષ્ટી થઈ છે. મૃતકોમાં સુનોવા એનાલિટિક્સ ઈંકના સીઈઓ હનુમંત રાવ મારેપલ્લીનો પણ સમાવેશ થાય છે. ગુજરાતી ચંદ્રકાંત અમીન (ઉં ૭૫) અને મહેન્દ્ર પટેલ ( ઉં ૬૦)નાં પણ યુએસમાં કોરોનાથી મોત થયાં છે. સ્થાનિક પ્રશાસને ૯થી વધારે લોકોને અંતિમ સંસ્કાર સમયે ઉપસ્થિત રહેવાની પરવાનગી આપી ન હતી. તેથી ૫૦થી પણ વધારે મિત્ર અને સંબંધીઓએ સ્વ. મહેન્દ્ર પટેલને ઓનલાઈન અંતિમ સંસ્કારમાં શ્રદ્ધાંજલિ આપી હતી.
સિંગાપોરમાં ૧૪ એપ્રિલના અહેવાલ મુજબ ૧૯૧ કોરોના કેસ આવ્યા છે. આ પૈકી ૫૧ ભારતીય હોવાના અહેવાલ છે. સ્થાનિક પ્રશાસને કહ્યું છે કે સંક્રમિતોમાં મોટાભાગે વિદેશી કર્મચારી છે.