વોશિંગ્ટન: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતનો યુએસ પ્રવાસ પૂરો થયા પછી વિવાદ શમ્યો નથી. ન્યૂયોર્કમાં કાર્યક્રમ પછી અમેરિકન રાજકારણમાં ભારે હલચલ મચી ગઈ છે. હવે દેશના 90 નેતાઓએ આરએસએસ અને તેના સંગઠન સાથે સંકળાયેલા લોકો પાસેથી દાન નહીં લેવાની જાહેરાત કરી છે. આ નેતાઓમાં ભારતવંશી સાંસદ રો ખન્ના અને પ્રમિલા જયપાલનો પણ સમાવેશ થાય છે.
હિન્દુઝ ફોર હ્યુમન રાઈટ્સ એક્શન અને સાઉથ એશિયન અમેરિકન કોઅલિશન ટુ રિન્યુ ડેમોક્રસી એક્ટ્સ જેવા જૂથોએ 31 ઓગસ્ટે જાહેર કરેલા સંકલ્પ મુજબ અમેરિકાના આઠ રાજ્યોના ચૂંટાયેલા નેતાઓ અને ઉમેદવારોએ આરએસએસ અને તેની સહયોગી સંસ્થાઓના લોકો પાસેથી મળનારી આર્થિક મદદ નહીં લેવાનો નિર્ધાર કર્યો છે. બંને જૂથો તરફથી કહેવાયું છે કે આ અભિયાન મોહન ભાગવતના અમેરિકા અને કેનેડાના પ્રવાસના જવાબમાં શરૂ કરાયું હતું. અમેરિકાના આઠ રાજ્યોના નેતાઓ, હિન્દુઝ ફોર હ્યુમન રાઈટ્સ એક્શન, સેક્રેડ એક્ટ્સ અને તેમના સહયોગીઓએ એક બિનપક્ષપાતી સંકલ્પની જાહેરાત કરી છે. તેમાં ડેમોક્રેટિક અને રિપબ્લિકન બંને પક્ષના નેતાઓના જૂથનો સમોવશ થાય છે.


