નવી દિલ્હીઃ દિલ્હીમાં સીએએના મુદ્દે થયેલી હિંસા પર અમેરિકી સાંસદોએ ઉગ્ર પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. પ્રમુખ ટ્રમ્પની ભારત યાત્રા સાથે જ મીડિયા આ ઘટનાઓની પણ ખબર આપી રહ્યું છે. અમેરિકી સાસંદ પ્રમિલ જયપાલે કહ્યું કે, ભારતમાં ધાર્મિક અસહિષ્ણુતામાં વધારો ભયાનક છે. જયપાલે ટ્વિટ કરીને જણાવ્યું કે લોકતાંત્રિક દેશોનું વિભાજન અને ભેદભાવ સહન ન કરવા જોઈએ, ધાર્મિક સ્વતંત્રતાને નબળી પાડનાર કાયદાને પ્રોત્સાહન ન આપવું જોઈએ. તેમણે કહ્યું કે દુનિયા જોઈ રહી છે. સાંસદ એલન લોવેન્થાલે પણ હિંસાને નૈતિક નેતૃત્વની દુઃખદ નિષ્ફળતા ગણાવી હતી. તેમણે કહ્યું કે ભારતમાં માનવાધિકાર ખતરા અંગે બોલવું જોઈએ. પ્રમુખપદના ડેમોક્રેટિક પાર્ટીના દાવેદાર અને સાંસદ એલિઝાબેથ વોરને કહ્યું કે ભારત જેવા લોકશાહી ભાગીદારોની સાથે સંબંધો મજબૂત કરવા મહત્ત્વની બાબત પરંતુ શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ સામેની હિંસા સ્વીકાર્ય નથી.