વોશિંગ્ટનઃ સન ૧૯૪૧ની ૭ ડિસેમ્બરે પર્લ હાર્બરમાં અમેરિકાના યુદ્વજહાજ યુએસએસ ઓકલાહોમાં પર જાપાનના ટોર્પિડો હુમલામાં જહાજમાં સવાર નેવીના ૪૨૯ સૈનિકોમાંથી મોટા ભાગના માર્યા ગયા હતા. તે સમયે કેટલાક સૈનિકોનાં જ શબ મળ્યાં હતાં. બાકી બધાંના શબ ઓકલાહોમાના કાટમાળમાં એકબીજામાં ભળી ગયાં હતાં. હોનોલૂલૂમાં ૪૬ કબરમાં બધાં શબ દફનાવી દેવાયા હતા અને કબરો પર ‘અજ્ઞાત’ લખી દેવાયું હતું. હવે ૮૦ વર્ષ બાદ એજન્સી ડિફેન્સ પીઓડબ્લ્યુ-એમઆઇએ ઓકલાહોમાના ૩૬૧ લોકોની ઓળખ કરી લીધી છે. આ માટે બધી કબરો ખોદી શબ બહાર કઢાયાં હતા. આધુનિક ડીએનએ ટેક્નોલોજીની મદદથી શબોના અવશેષોનું વિશ્લેષણ કરીને મૃતદેહોની ઓળખ નક્કી કરાઇ હતી. સૈન્યને આશા છે કે ઓકલાહોમા પ્રોજેક્ટ આ વર્ષે પૂરો થઇ જશે.