વોશિંગ્ટનઃ અમેરિકા સ્થિત એક પ્રતિષ્ઠિત હિન્દુ સંગઠને કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો અને ભારતીય મૂળના નેતા જગમીત સિંહને હિન્દુ ધર્મના પવિત્ર પ્રતીક ‘સ્વસ્તિક’ ને ધિક્કારના નાઝી પ્રતીક ‘હકેનક્રેઝ’ સાથે ન સરખાવવા વિનંતી કરી છે.
કેનેડામાં કોરોના નિયંત્રણો વિરુદ્ધ ચાલી રહેલા દેખાવોના સંદર્ભમાં જગમીત સિંહે બીજી ફેબ્રુઆરીએ એક ટ્વીટ કર્યું હતું કે કેનેડામાં ‘સ્વસ્તિક’નું કોઈ સ્થાન નથી. તેમણે લખ્યું હતું કે તેમની ઉપર તમામ સમુદાયોના લોકોને સુરક્ષિત રાખવાની જવાબદારી છે. આ સમય કેનેડામાં નફરતના પ્રતીકો પર પ્રતિબંધ લગાવવાનો છે. સાથે જ સમાજમાં નફરત પેદા ન થાય તેની અમારે તકેદારી રાખવી પડશે. કે
કેનેડામાં કોવિડ-૧૯ રસીકરણ અને વૈશ્વિક મહામારી સંબંધિત પ્રતિબંધોની વિરુદ્ધ મોટા પ્રમાણમાં વિરોધ દેખાવો ચાલી રહ્યા છે. ટ્રક ડ્રાઈવરોના નેતૃત્વમાં દેખાવકારોએ કેનેડાની રાજધાની ઓટાવામાં ટ્રકોનો જામ લગાવ્યો હતો અને કેટલીયે જગ્યાએ કેનેડાથી અમેરિકા જતા માર્ગમાં અવરોધ પેદા કર્યો છે. આ સ્થિતિને પહોંચી વળવા માટે કેનેડામાં ઈમરજન્સી કાયદો લાગુ કરવામાં આવ્યો છે. વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો અને જગમીત સિંહ બંનેએ તાજેતરના દિવસોમાં દેખાવકારો પર ‘સ્વસ્તિક લહેરાવવા’નો આરોપ લગાવ્યો હતો.