વોશિંગ્ટનઃ અમેરિકા ભારતીયો માટેની વિઝા પ્રક્રિયાને સરળ બનાવવાની દિશામાં કામ કરી રહ્યો છે. જે હેઠળ ૧ સપ્ટેમ્બરથી કેટલાક અરજદારોને ઈન્ટરવ્યુની અનિવાર્યતામાંથી છૂટ મળી શકે છે. અમેરિકી વાણિજ્ય દૂતાવાસે ટ્રાવેલ એજન્ટ એસોસિયેશનો સાથેની વાતચીતમાં કહ્યું કે આ પહેલનો ઉદ્દેશ વિઝા રિન્યુઅલમાં બગડતો સમય ઘટાડવાનો છે. આ સાથે ભારતીય વિઝા અરજદારો માટે સેવા સુધારવાનો છે. નવા વિઝા નિયમો અનુસાર, ૧૪ વર્ષથી ઓછી વયના બાળકો અને ૭૯ વર્ષથી વધારે ઉંમરના વરિષ્ઠ નાગરિકોને ઇન્ટરવ્યુ માટે રૂબરૂ હાજર થવામાંથી મુક્ત મળી શકે છે. જોકે ૧૪થી ૭૯ વર્ષ સુધીના લોકોએ વિઝા માટે ઇન્ટરવ્યુ આપવો પડશે. ઉપરાંત ૧ સપ્ટેમ્બરથી અરજદારોએ દેશના ૧૧ વિઝા સેન્ટરોમાંથી કોઈ એક સેન્ટરમાં વિઝા માટે અરજી કરવી પડશે. અમેરિકી દૂતાવાસ અથવા વાણિજ્ય દૂતાવાસ અરજી સ્વીકાર કરતી વખતે તમામ દસ્તાવેજોની બારીકાઈથી ચકાસણી કરે છે. જો અરજદારને ઈન્ટરવ્યુ માટે આવવાની જરૂર હોય તો તેણે ઈન્ટરવ્યુ મુક્તિની પ્રોસેસ માટેની કોલમ રદ કરવી પડશે.