વોશિંગ્ટનઃ યુએસ એફડીએ અને વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા માન્ય કોરોના રસીના બંને ડોઝ લેનારા ભારતીયો ૮ નવેમ્બરથી અમેરિકાનો પ્રવાસ કરી શકશે. વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે, કોરોના રસીના બંને ડોઝ લેનારા વિદેશી પ્રવાસીઓ પર લદાયેલા પ્રવાસના નિયંત્રણો ૮ નવેમ્બરથી ઉઠાવી લેવાશે. અમેરિકાએ યુરોપ, ભારત, બ્રાઝિલ અને ચીનથી આવતા પ્રવાસીઓ માટે દરવાજા ખુલ્લા મૂકવાનો નિર્ણય કર્યો છે.
વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર નવી સિસ્ટમમાં કોરોનાની રસીના બંને ડોઝ લેનારા અને ૭૨ કલાક પહેલા કરાવેલા કોરોના નેગેટિવ ટેસ્ટ ધરાવતા પ્રવાસીઓ અમેરિકા જતી ફ્લાઇટમાં પ્રવાસ કરી શકશે. તેમણે પોતાની કોન્ટેક્ટ ટ્રેસિંગ માહિતી આપવાની રહેશે. જો કે કોરોનાની રસી નહીં લેનારા વિદેશી નાગરિકોને અમેરિકામાં પ્રવેશ અપાશે નહીં. કોરોનાની રસી નહીં લેનારા અમેરિકન પ્રવાસીઓએ સ્વદેશ પરત ફરતી વખતે કોરોના નેગેટિવ ટેસ્ટ રજૂ કરવાનો રહેશે.