ઉજ્જૈનઃ મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં ગધેડાઓનો મેળો પ્રસિદ્ધ છે. જેમાં આ વર્ષે યોજાયેલા મેળામાં કંગના અને આર્યન નામના ગધેડાની જોડી ચર્ચાનું કેન્દ્ર રહી હતી અને આ જોડી ૩૪ હજાર રૂપિયામાં વેચાઈ હતી. બંને ગધેડાઓનો ઉપયોગ ઈંટોની હેરફેર માટે થશે. આ ઉપરાંત વેક્સિન નામનો એક ગધેડો ૧૪ હજારમાં વેંચાયો હતો. આ મેળામાં વિચિત્ર નામના અને વિવિધ નસલના ગધેડાઓની લે-વેચ થાય છે.
ઉજ્જૈનમાં શિપ્રા નદીના કારણે બડનગર રોડ પર સેંકડોની સંખ્યામાં ગધેડાઓ લાવી તેમની લે-વેચનો મેળો આયોજીત કરવામાં આવ્યો છે. દાયકાઓથી આ મેળો ગધેડાઓના કારણે જ પ્રસિદ્ધ છે.
કંગના અને આર્યન નામના ગધેડાઓની જોડી આ વર્ષે સૌના ધ્યાનનું કેન્દ્ર રહી હતી અને એક વેપારીએ તેને ૩૪ હજારમાં ખરીદ્યા હતા. તો બીજી તરફ એક ગધેડાનું નામ વેક્સિન રાખવામાં આવ્યુ હતુ. ઘણા લોકો કોવિડ વેક્સિનથી ડરી વેક્સિન ન લઈ રહ્યા હોવાના કારણે અને લોકોને વેક્સિન લેવા જાગૃત કરવા માટે આ ગધેડાનું નામ વેક્સિન રાખવામાં આવ્યું હતું. મેળાના સંચાલક અધિકારી હરિઓમ પ્રજાપતિનુ કહેવું છે કે ટ્રેન્ડમાં રહેતા સમાચારો અને વ્યક્તિઓના આધારે ગધેડાઓના નામ રાખવામાં આવે છે જેથી જલદીથી તેમની ઓળખ થઈ શકે અને તેમનો સોદો પણ કરી શકાય તેમજ ખરીદવા આવનારા લોકોનુ ધ્યાન પણ જલદીથી ખેંચાય છે.
ગત વર્ષે કોરોનાના કારણે મેળાનુ આયોજન થઈ શક્યુ નહોતુ પરંતુ આ વર્ષે કેસ ઓછા હોવાથી આયોજન કરવામાં આવ્યુ છે.