ચુરુઃ મરુભૂમિ રાજસ્થાનના ચુરુ જિલ્લામાં ઉડસર નામનું ગામ છે. આ ગામની ખાસિયત એ છે કે, અહીં તમામ મકાન એક જ માળનાં છે અને ગામમાં કોઈ પોતાના ઘર પર બીજો માળ જ નથી બનાવતું.
ગામનાં લોકોનું કહેવું છે કે, ઉડસર ગામનાં લોકોને શાપ મળેલો છે કે, આ ગામમાં કોઈ વ્યક્તિ બે માળનું મકાન બનાવશે તો તેનો પરિવાર બરબાદ થઈ જશે. આ શાપ કોણે આપ્યો તેની પણ રસપ્રદ કથા છે. આ કથા પ્રમાણે, ઉડસરમાં 700 વર્ષ પહેલાં ભેમિયા નામનો યુવક રહેતો હતો. એક દિવસ ચોર ગામમાં ઘૂસીને ઢોર ચોરીને લઈ જતા હતા ત્યારે ગામમાંથી માત્ર ભેમિયો તેમનો સામનો કરવા ગયેલો. ચોરો સાથેની લડાઈમાં ઘાયલ ભેમિયો બચવા માટે ભાગીને પોતાની સાસરીમાં પહોચ્યો અને બીજા માળે છૂપાઈ ગયો પણ ચોરોએ તેને શોધી કાઢીને મારી નાંખ્યો. ભેમિયાની પત્નીએ શાપ આપ્યો કે, હવે પછી ગામમાં કોઈ પણ વ્યક્તિ બે માળનું મકાન બનાવશે તો તેના પરિવારનો નાશ થઈ જશે. બસ, તે સમયથી ગામમાં કોઇએ મકાનમાં બીજો માળ બનાવ્યો નથી.