રત્નાગીરીઃ મહારાષ્ટ્રનું રત્નાગીરી આમ તો તેની હાફુસ કેરી માટે જાણીતું છે, પરંતુ આજકાલ તે એક કાચબાના કારણે અખબારોમાં ચમકી ગયું છે. કાચબા તેની ધીમી ચાલ અને એક જ સ્થળે લાંબો સમય રહેવા માટે જાણીતા છે. પરંતુ એક કાચબો એવો છે જેણે ધીમી ચાલે આગળ વધતાં વધતાં 4500 કિમીનો લાં...બો પ્રવાસ કરી નાંખ્યો છે. તેની આ રોમાંચક સફરની શરૂઆત ઓડિશાથી શરૂ થઈ આ પછી કાચબાભાઇ શ્રીલંકા પહોંચ્યા અને ત્યાંથી રત્નાગીરીમાં તેની આ સફર પુરી થઈ હતી.
આ કાચબો ઓડિશાના ગહરીમઠાથી શ્રીલંકાના જાફના પહોંચ્યો હતો. પછી ત્રિવેન્દ્રમ થઈ રત્નાગીરી આવ્યો છે. આ કાચબાની ઓળખ થઇ શકી છે તેનું કારણ તેના ઉપર ફ્લિપર ટેગ લગાવાયેલું છે. ઓડિશાની વાઈલ્ડ લાઈફ સેન્ચ્યુરીના જણાવ્યા પ્રમાણે આ કાચબો ઓલીવ રિડલે પ્રજાતિનો છે. તેના પર લાગેલા ટેગની મદદથી સંશોધકોએ તેના પ્રવાસની પેટર્ન પર સંશોધન હાથ ધર્યું છે.
ઓલીવ પ્રજાતિના કાચબા સારા નેવિગેટર માનવામાં આવે છે જે પોતાનો રસ્તો શોધી લે. જોકે, આટલો લાંબો પ્રવાસ કોઈ ઓલીવ કાચબાએ કર્યો હોય તે પહેલીવાર સામે આવ્યું છે.
વાઈલ્ડ લાઈફ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાના વૈજ્ઞાનિક ડો. સુરેશકુમાર કહે છે કે મેં ક્યારેય વિચાર્યું ન હતું કે કોઈ કાચબો પૂર્વ કિનારાથી આ રીતે છેક પશ્ચિમ કિનારા સુધી આવી જશે. કોઈ ટેગ લગાવેલો કાચબો આ રીતે પહેલાં પૂર્વ અને પછી પશ્ચિમ કિનારે મળે તે કદાચ પહેલીવાર બન્યું હશે.