કોઈમ્બતુરઃ તમિલનાડુ યુનિવર્સિટીના પુરાતત્વવિદોએ કોઈમ્બતુર પાસે પશ્ચિમ ઘાટની તળેટીમાં આવેલા મોલાપલયમમાં 3500 વર્ષ જૂના નવપાષાણ યુગના દુર્લભ ‘પિટ હાઉસ’ (ખાડાવાળા ઘર) શોધી કાઢ્યા છે. નિષ્ણાતોના મતે, તે સમયનો કૃષિ-પશુપાલક સમુદાય આ ખાડાઓનો ઉપયોગ અનાજ સંગ્રહ અથવા કુદરતી આફતોથી બચવા માટે કરતો હશે તેવું માની શકાય. આવા કેટલાક ખાડામાંથી અનાજ દળવાની ઘંટી અને પીસવાના પથ્થરો મળી આવ્યા છે, જે સંકેત આપે છે કે આ સ્થાનોનો ઉપયોગ રસોડા તરીકે થતો હશે. આ ઉપરાંત સ્થળ પરથી બે શિશુના કંકાલ પણ મળી આવ્યા છે, જે પુષ્ટિ કરે છે કે પ્રાચીન સમયમાં લોકો મૃતકોને પોતાના રહેણાંક વિસ્તારની નજીક જ દફનાવતા હતા. ઉલ્લેખનીય છે કે અગાઉ 1960ના દાયકામાં પૈયમપલ્લીમાં પણ આવા જ ઘરો મળી આવ્યા હતા. આ શોધ તામિલનાડુના પ્રાચીન ઈતિહાસ અને તે સમયની જીવનશૈલીના અનેક રહસ્યો પરથી પડદો ઉઠાવશે તેવી પુરાતત્વવિદોને આશા છે.


