તિરુવિસાનાલૂરના પ્રાચીન મંદિરમાં ૧૪૦૦ વર્ષ જૂની સૂર્ય ઘડિયાળ

Wednesday 27th September 2017 10:57 EDT
 
 

ચેન્નઈઃ તામિલનાડુના તાંજાવુર જિલ્લાના તિરુવિસાનાલૂરના શિવોગીનાથર મંદિરમાં ૧૪૦૦ વર્ષ જૂની સૂર્ય ઘડિયાળ સમય બતાવે છે. મંદિરની દિવાલથી ૩૫ ફૂટ ઉંચાઇ પર આવેલી આ ઘડિયાળ ચૌલ રાજાઓના અસીમજ્ઞાન અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. પ્રાચીન સમયમાં ઘડિયાળો પાવર કે ચાવીથી નહીં, પરંતુ સોલાર સિસ્ટમથી ચાલતી હતી.
દિવાલ પર ગ્રેનાઇટથી કોતરવામાં આવેલી આ અર્ધમંડળ ઘડિયાળની પિતળની સોય સૂર્યના કિરણો પડે કે તરત જ ચળકાટના લીધે સમય દર્શાવવા લાગે છે. આ માટે ત્રણ ઇંચ લાંબી પિતળની સોયને ક્ષિતિજ રેખાના કેન્દ્રમાં સ્થિર રાખવામાં આવે છે. જોકે, આ સોલાર ઘડિયાળ રાત્રિના સમય બતાવતી નથી. એક જમાનામાં મંદિર આવતા ભકતો સવારે ૬ વાગ્યાથી માંડીને સાંજના ૬ વાગ્યા સુધીનો સમય આ ઘડિયાળમાં જોઇને પોતાની દિનચર્યા સેટ કરતા હતા. આ ઘડિયાળમાં જોવા મળતા અંગ્રેજી નંબરો બ્રિટિશર્સે પોતાની સુવિધા ખાતર સામેલ કર્યા હોવાનું માનવામાં આવે છે.
૧૪૦૦ વર્ષ જૂના આ મંદિરમાં સૂર્ય ઘડિયાળ આજે પણ લોકોનું આકર્ષણ છે. સમયની સાથે પિતળની સોયનો ચળકાટ ઝાંખો પડયો હોવાથી ઘડિયાળની મરામતની જરૂરત છે. પ્રાચીન સમયમાં અનેક લોકો આ સૂર્ય ઘડિયાળ સમક્ષ બેસીને તપ કરતા હતા. વિશ્વમાં આધુનિક ઘડિયાળની શોધ થઇ ન હતી ત્યારે સમય જાણવા માટે સોલાર ઘડિયાળનો ઉપયોગ થતો હતો. પ્રાચિન વૈદિકકાળમાં સોલાર ઘડીનો ઉલ્લેખ જોવા મળે છે. દિલ્હીની જંતરમંતર વેધશાળા એક ગોળાકાર અને સૌર ઘડિયાળનું વિશાળ સ્વરૂપ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter