નવી દિલ્હી: સુપ્રસિદ્ધ ભારતીય ચિત્રકાર તૈયબ મહેતાનું એક પેઇન્ટિંગ 25.29 કરોડ રૂપિયામાં વેચાયું છે. તેની કલાકૃતિની નીલામી અસ્તાગુરુ કંપનીએ કરી હતી. અસ્તાગુરુની મોડર્ન ટ્રેઝર નીલામી દરમિયાન આ પેઇન્ટિંગ સૌથી વધારે કિંમતમાં વેચાયું છે. છ ફૂટની ઊંચી આ કલાકૃતિની કિંમત રૂ. 21 કરોડથી રૂ. 26 કરોડ અંદાજવામાં આવી હતી. મહેતાએ આ પેઇન્ટિંગ 1973માં દોર્યું હતું. તેનું આ કેનવાસ પેઇન્ટિંગ પ્રસિદ્ધ ડાયગ્નલ સિરીઝનો હિસ્સો છે. 25 અને 26 સપ્ટેમ્બરે યોજાયેલી આ નીલામીમાં ચિત્રકાર એમ.વી. ધુરંધર, રામ કુમાર, એસ.એચ. રઝા, એમ.એફ. હુસૈન, અકબર પદમશી, જોગેન ચૌધરી, કે.કે. હેબ્બર અને બદ્રીનારાયણ સહિત ઘણા સુપ્રસિદ્ધ ભારતીય કલાકારોના પેઇન્ટિંગ પણ મૂકવામાં આવ્યાં હતાં. એમ.વી. ધુરંધરની વ્યાસ મહાભારત પર આધારિત કલાકૃતિ 4.82 કરોડ રૂપિયામાં વેચાઈ હતી. સો વર્ષ જૂની આ કલાકૃતિમાં મહાભારતના સૌથી મહત્ત્વપૂર્ણ દૃશ્યોમાંથી એક દ્રૌપદી વસ્ત્રાહરણને દર્શાવાયું છે.