મેઘરાજાની મહેર માટે ગધેડાઓને ગુલાબજાંબુની પાર્ટી!

Saturday 25th July 2026 10:39 EDT
 
 

ભોપાલઃ ‘તળાવોનું શહેર’ તરીકે આગવી ઓળખ ધરાવતા ભોપાલ શહેરથી કૌતુક ઉપજાવે તેવા સમાચાર આવ્યા છે. જુલાઈ મહિનાનો અંત નજીક દેખાઇ રહ્યો હોવા છતાં અપેક્ષિત વરસાદ ન પડતાં મધ્યપ્રદેશના ચિંતાતુર લોકો મેઘરાજાને રિઝવવા નોખા-અનોખા ઉપાય અજમાવી રહ્યા છે. તાજેતરમાં રાજધાની ભોપાલના ચૂનાભટ્ટી વિસ્તારમાં સ્થાનિક લોકોએ ગધેડાઓને ગુલાબજાંબુ ખવડાવી સારા વરસાદની પ્રાર્થના કરી હતી.
વાત એમ છે કે ખેતરો સૂકા ભઠ્ઠ છે અને ખેડૂતો આકાશ તરફ મીટ માંડીને બેઠા છે. આવી સ્થિતિમાં, હવામાન વિભાગની આગાહીઓ વચ્ચે લોકો પ્રાચીન લોક પરંપરાઓ અને આસ્થાનો સહારો લઈ રહ્યા છે. વર્ષોજૂની માન્યતા અનુસાર, ગધેડાને શીતળા માતાનું વાહન મનાય છે. તેને મીઠાઈ ખવડાવવાથી શીતળા માતા પ્રસન્ન થાય છે અને ઈન્દ્રદેવ પૃથ્વી પર અમૃત વર્ષા કરે છે. માળવા અને નિમાડ ગ્રામીણ વિસ્તારોમાં આ પરંપરા લાંબા સમયથી પ્રચલિત છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter