શ્રદ્ધાના તાંતણે... ભગવાન બુદ્ધના વાળ પર ટકેલો ગોલ્ડન રોક

Wednesday 24th June 2026 06:46 EDT
 
 

યાંગોનઃ દુનિયામાં એવા અનેક ધાર્મિક સ્થળો છે જે શ્રદ્ધા જ નહીં, તેની ભવ્યતા અને રહસ્ય માટે જાણીતા છે. આવું જ એક સ્થાન છે ગોલ્ડન રોક. મ્યાનમારના મોન સ્ટેટમાં આવેલું બૌદ્ધ ધર્મસ્થાન ગોલ્ડન રોક પેગોડા તેના અનોખા આર્કિટેક્ચર જ નહીં, તેની સાથે જોડાયેલી દંતકથાને કારણે પણ વિશેષ ઓળખ ધરાવે છે. એક નજરે જોતા લાગે કે, પહાડની ટોચ આવેલો જાયન્ટ ગોલ્ડન પથ્થર જાણે ખીણની ધાર પરથી કોઈપણ ક્ષણે નીચે પડી જશે પરંતુ, હકીકત એ છે કે તે સદીઓથી આમ જ અડગ ઉભો છે. આ જાયન્ટ પથ્થર પર જ નાનકડું ગોલ્ડન પેગોડા બનાવવામાં આવ્યું છે. સમગ્ર રચના એવી લાગે છે કે જાણે કોઈએ આ વિશાળકાય પથ્થરને પહાડની ધાર પર કાળજીપૂર્વક ગોઠવી દીધો હોય. આ પેગોડામાં ગૌતમ બુદ્ધના વાળનો એક પવિત્ર તંતુ સ્થાપિત છે, જે પવિત્ર ગોલ્ડન પથ્થરને સંતુલિત રાખતો હોવાની લોકવાયકા છે.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ભગવાન બુદ્ધે એક સાધુને પોતાના વાળ આપ્યા હતા અને પછી સાધુએ મસ્તક જેવો દેખાતો ખડક શોધીને તેમાં તે વાળ સ્થાપિત કર્યા. તેના ઉપર આ પેગોડાનું નિર્માણ થયું છે.
આ ગોલ્ડન રોક સમુદ્ર સપાટીથી લગભગ 1,100 મીટરની ઊંચાઈ પર આવેલો છે. દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ અહીં યાત્રા કરે છે. ઘણા ભક્તો આ પવિત્ર પથ્થર પર સોનાનો કળશ ચઢાવે છે.
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આ પથ્થરનું ગુરુત્વાકર્ષણ કેન્દ્ર એવી સ્થિતિમાં છે કે તે સંતુલન જાળવી શકે છે. જોકે, લાખો શ્રદ્ધાળુઓ માટે ગોલ્ડન રોકનું અસ્તિત્વ વિજ્ઞાનનો નહીં, પરંતુ શ્રદ્ધાનો વિષય છે.
ગોલ્ડન રોક મ્યાનમારના સૌથી પવિત્ર બૌદ્ધ તીર્થસ્થાનોમાંનું એક માનવામાં આવે છે. રાત્રિના સમયે સોનેરી પેગોડા અને પવિત્ર પથ્થર પર પ્રકાશ પડે છે ત્યારે આખી રચના આકાશમાં ઝળહળતા સોનાના તારા જેવી દેખાય બુદ્ધે છે. આ દૃશ્યને જોવા માટે વિશ્વભરમાંથી પ્રવાસીઓ અહીં પહોંચે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter