હિમાચલમાં ફરી ‘જોડીદારાં’ પ્રથા ચર્ચામાંઃ એક યુવતીએ બે સગા ભાઇઓ સાથે સંસાર માંડ્યો

Tuesday 22nd July 2025 11:40 EDT
 
 

સિમલાઃ હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લાના શિલાઈ હટ્ટી જનજાતિના બે ભાઈઓએ એક જ મહિલા સાથે લગ્ન કર્યાં. આ લગ્ન કોઈથી છૂપાયેલા નહોતા, પરંતુ સંપૂર્ણ ઠાઠમાઠથી થયા, ત્રણ દિવસ સુધી ચાલેલી રીતિ-રિવાજો સાથે. કન્યા સુનીતા ચૌહાણ અને વરરાજા પ્રદીપ અને કપિલ નેગીએ જણાવ્યું હતું કે, તેમણે કોઈ પણ પ્રકારના દબાણ વિના આ નિર્ણય લીધો છે. ત્રણેય લોકોએ દાવો કર્યો છે કે તેઓએ જૂની પરંપરાનું પાલન કર્યું છે. ચાલો હવે જાણીએ કે હટ્ટી સમુદાયમાં લગ્નની બહુપતિ પ્રથા ‘જોડીદારાં’ તરીકે ઓળખાય છે.

સિરમૌર જિલ્લાના ટ્રાન્સ ગિરી વિસ્તારમાં 12 જુલાઈથી યોજાયેલા ત્રિદિવસીય લગ્નોત્સવમાં સ્થાનિક લોક સંગીતે રંગ જમાવ્યો હતો. હિમાચલ પ્રદેશના મહેસૂલના કાયદા આ પરંપરાને માન્યતા આપે છે. ટ્રાન્સ ગિરિના બાઢાણા ગામમાં છેલ્લા છ વર્ષમાં આવા પાંચ લગ્ન થયા છે. આ લગ્ન ઉજાલા પક્ષ એટલે કે, હટ્ટી સમાજની જૂની પરંપરા એવી જોડીદારાં હેઠળ થયા છે. જોડીદારાં પ્રથામાં એક સ્ત્રી બે કે તેથી વધુ ભાઈઓ સાથે લગ્ન કરે છે.

ત્રણેયનું આ લગ્ન વિશે શું કહેવું છે?
કુન્હાટ ગામની રહેવાસી સુનીતા ચૌહાણે જણાવ્યું હતું કે, તે પરંપરાથી વાકેફ છે અને તેણે કોઈ પણ દબાણ વિના આ નિર્ણય લીધો છે. તેણે એમ પણ કહ્યું હતું કે, તે એમની વચ્ચે બંધાયેલા લગ્ન સંબંધનો આદર કરે છે. શિલાઈ ગામનો વતની પ્રદીપ સરકારી વિભાગમાં નોકરી કરે છે, જ્યારે તેનો નાનો ભાઈ કપિલ વિદેશમાં નોકરી કરે છે.
પ્રદીપ કહે છે કે ‘અમે આ પરંપરાને સાર્વજનિક રીતે અનુસરી હતી કારણ કે અમને તેના પર ગર્વ છે. નાનો ભાઇ વિદેશમાં રહે છે, તેમ છતાં, આ લગ્ન દ્વારા અમે સંયુક્ત કુટુંબ તરીકે મારી પત્ની માટે ટેકો, સ્થિરતા અને પ્રેમની ખાતરી આપી રહ્યા છીએ.

જોડીદારાં પ્રથા શું છે?
સરળ ભાષામાં કહીયે તો, જોડીદારાં એટલે કે બહુપતિ પ્રથામાં એક સ્ત્રી બે કે તેથી વધુ પુરુષો સાથે લગ્ન કરે છે. આ પ્રથાને જોડીદારાં અથવા ઉજાલા પક્ષ તરીકે પણ ઓળખાય છે. જોડીદારાં પ્રથામાં મોટાભાગે એક જ કુટુંબના સગા ભાઇઓ એક જ મહિલા સાથે લગ્ન કરે છે. જોકે ઘણા અહેવાલોમાં એવો પણ દાવો કરાયો છે કે આ પ્રથા મહાભારત કાળ સાથે જોડાયેલી છે.

સગા ભાઈઓ સાથે લગ્ન પાછળના કારણો શું છે?
ગામના વડીલોએ જણાવ્યું હતું કે આવા લગ્ન ગુપ્ત રીતે કરાતાં હતાં અને સમાજ દ્વારા તેનો સ્વીકાર કરાતો હતો. જોકે, આવા કિસ્સા ઓછા છે. નિષ્ણાતોના મતે આ પરંપરા પાછળનું સૌથી મહત્વનું કારણ એ હતું કે પૈતૃક જમીનનું વિભાજન ન થવું જોઈએ, જ્યારે પૂર્વજોની સંપત્તિમાં આદિવાસી મહિલાઓનો હિસ્સો હજુ પણ એક મોટો મુદ્દો છે.

સિરમૌર જિલ્લાના ટ્રાન્સ ગિરી વિસ્તારના આશરે 450 ગામોમાં હટ્ટી સમુદાયના લગભગ ત્રણ લાખ લોકો રહે છે અને કેટલાક ગામોમાં હજી પણ બહુપતિ પ્રથા પ્રચલિત છે. તે ઉત્તરાખંડના જૌનસર બાબર અને હિમાચલ પ્રદેશના આદિજાતિ જિલ્લામાં કિન્નૌરના આદિવાસી વિસ્તારમાં પણ પ્રચલિત હતું.
હટ્ટી સમુદાયની મુખ્ય સંસ્થા કેન્દ્રીય હટ્ટી સમિતિના મહાસચિવ કુંદન સિંહ શાસ્ત્રી કહે છે કે, એક પરિવારની ખેતીની જમીનના ભાગલા થતા અટકાવવા માટે આ પ્રથા હજારો વર્ષ પહેલાં શરૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત બીજું કારણ છે સંયુક્ત કુટુંબમાં ભાઈચારો અને પરસ્પર સમજણને પ્રોત્સાહન આપવાનું. જ્યારે ત્રીજું કારણ છે સુરક્ષાની ભાવના. જો તમારું કુટુંબ મોટું હોય, વધુ પુરુષો હોય, તો તમે આદિવાસી સમાજમાં વધુ સુરક્ષિત છો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter