કોચીઃ કેરળના આ શહેરમાં એક એવી લાઇબ્રેરી શરૂ થઇ છે જ્યાં પુસ્તકો નહીં પરંતુ માનવતાના પાઠ ભણાવાય છે. અહીં આવતાં લોકો વડીલો સામે બેસીને તેમની પાસેથી જ્ઞાન અને અનુભવના પાઠ શીખે છે. વડીલોને પ્રશ્નો પૂછે છે અને કોઈપણ વસ્તુ વિશે તેમનો દૃષ્ટિકોણ અને અભિપ્રાય જાણવાનો પ્રયાસ છે. તેને હ્યુમન લાઈબ્રેરી પણ કહેવામાં આવે છે. અહીં યુવાનોને પણ જીવનનો બોધપાઠ પણ આપવામાં આવે છે.
કોચીના ન્યુક્લિયસ મોલના ફૂડ કોર્ટમાં ચાલતી આ લાઇબ્રેરીને દેશની પ્રથમ હ્યુમન લાઇબ્રેરી તરીકે પણ ઓળખવામાં આવે છે. નવમી એપ્રિલથી શરૂ થયેલી આ હ્યુમન લાઇબ્રેરી દર અઠવાડિયે યોજાય છે. પ્રથમ હ્યુમન લાઇબ્રેરીમાં માનવતાના બોધપાઠ આપવા 100 લોકો આવતા હતા. પરંતુ પછી જાણીતા લોકોને બોલાવવામાં આવતા હતા, પરંતુ હવે અજાણ્યા ચહેરાઓ અને સામાન્ય લોકોને પણ અહીં લાવવામાં આવશે.
હ્યુમન લાઈબ્રેરી શરૂ કરનાર અનિલ જોશનું કહેવું છે કે પાછલી પેઢીના લોકોના અનુભવ અને જ્ઞાનના ભંડારને આગામી પેઢી સુધી પહોંચાડવાનો પ્રયાસ છે. જો તેમને સાંભળવામાં ન આવે, તો તેમના દ્વારા તેમના જીવનભર એકત્રિત કરાયેલું બધું જ્ઞાન વ્યર્થ જશે કારણ કે બધી માહિતી લખી શકાતી નથી. તેને ફક્ત મૌખિક રીતે અથવા આપણા જીવનમાં સમાવીને સાચવી શકાય છે. હ્યુમન લાઇબ્રેરીને સમર્થન આપતી સંસ્થા બરુમા એક્ટિવિટી ક્લબના પ્રમુખ અંજના શ્રીધરે જણાવ્યું હતું કે વરિષ્ઠોના જ્ઞાનથી જ નવી પેઢીને ફાયદો થવો જોઈએ.
જોશ કહે છે કે હ્યુમન લાઇબ્રેરી બે પેઢી વચ્ચેનું અંતર ઘટાડે છે. વૃદ્ધો પોતાને ઉપેક્ષિત માનતા નથી. આમાં બે પેઢીઓ એકબીજા સાથે જોડાય છે. ખરેખર તો આ સેમિનાર-કોન્ફરન્સથી અલગ છે. આમાં કોઈ એક મુદ્દા પર ચર્ચા નથી થતી. ઘટનાઓ દ્વારા પ્રશ્નોના વિષય જવાબ પણ આપવામાં આવે છે.
હ્યુમન લાઇબ્રેરીના એક નિયમિત વાચક એવા અબ્દુલ સમદ કહે છે કે હું ટ્રાન્સપોર્ટનું કામ કરું છું. મેં આ લાઈવ હ્યુમન લાઈબ્રેરીનો લાભ લીધો છે, જે મારા માટે ખૂબ જ ઉપયોગી નિવડ્યો. અન્ય લોકો સમક્ષ મારા અનુભવ અને જ્ઞાનને રજૂ કર્યું અને બીજા લોકો પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવું ખરેખર ખૂબ જ આશ્ચર્યજનક અનુભવ હતો. આ અભિગમ નવી જાણકારી અને જ્ઞાન મેળવવામાં મદદરૂપ થાય છે, જે આપણા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે.
સૌથી પહેલા ડેનમાર્કમાં પ્રારંભ
હ્યુમન લાઇબ્રેરીની શરૂઆત સૌથી પહેલા યુરોપીયન દેશ ડેન્માર્કમાં થઈ હતી. 25 વર્ષ પહેલા વર્ષ 2000માં માનવ અધિકારોના ઉલ્લંઘનને રોકવા અને સામાજિક એકતા માટે તેનો પ્રારંભ કરાયો હતો. હકીકતમાં તેનો ઉપયોગ ત્યાં ભેદભાવ સામે સંઘર્ષના હથિયાર તરીકે થતો હતો.