પરિવાર વચ્ચેથી કોઇ સ્વજન વિદાય લે છે ત્યારે ખાલીપો ભરવો તો શક્ય નથી, પરંતુ તેની સ્મૃતિ ચિરસ્મરણીય બનાવી શકાય તો? એલિના મરેએ કંઇક આવું જ વિચારીને તેના દિવંગત માતાના અસ્થિમાંથી પેઈન્ટિંગ બનાવી તેમની યાદો સાચવવા પ્રયાસ કર્યો. એલિનાના આ વિચારને પછી તો એવો શાનદાર પ્રતિસાદ મળ્યો છે કે અત્યાર સુધીમાં તે 20થી વધુ લોકોનાં અસ્થિમાંથી મેમોરિયલ આર્ટવર્ક બનાવી ચૂકી છે. તેનું માનવું છે કે આ પેઈન્ટિંગ લોકોને પ્રિયજનોની યાદ સાથે જોડે છે અને માનસિક રાહત આપે છે. બાળપણથી જ પેઈન્ટિંગમાં રસ દાખવતી આ કલાકાર 2008માં પ્રાકૃતિક સુંદરતાથી પ્રેરિત થઈ આર્ટ તરફ વળી હતી. 2019 અને 2021માં માતા-પિતાના નિધન પછી તેણે પેઈન્ટિંગ વ્યવસાયને કારકિર્દી તરીકે અપનાવી લીધો.