બગદાદઃ ઈરાકમાં આતંકવાદી સંગઠન ISએ મોસુલની ૮૦૦ વર્ષ જૂની ઐતિહાસિક નૂરી મસ્જિદ ૨૨મીએ ઉડાવી દીધી હતી. આ મસ્જિદમાં IS નેતા અબુ બકર અલ બગદાદી વર્ષ ૨૦૧૪માં પ્રથમ વખત લોકો સામે રજૂ થયો હતો અને તેણે ખિલાફતની જાહેરાત કરી હતી. ISએ દાવો કર્યો હતો કે મસ્જિદ અમેરિકન લડાકુ વિમાનના હુમલામાં નાશ પામી છે. જોકે, અમેરિકન સેનાએ ISના દાવાને ફગાવી દીધો હતો. ISએ નૂરી મસ્જિદની ઉપરાંત મસ્જિદ સામે આવેલા અલ હબ્દા મિનારાને ફૂંકી માર્યો હતો. મોસુલની આ લોકપ્રિય ઈમારત હતી. એક સમયે આ મિનારને ઈરાકનો ટાવર ઓફ પિસા કહેવાતો હતો.
હબ્દાનું નિર્માણકાર્ય ૧૧૭૨માં પૂરું થયું હતું અને તેના અદભુત આકાર માટે જાણીતો હતો ISએ મોસુલ પર કબજો જમાવ્યા બાદ અનેક ઐતિહાસિક સ્થળોને ઉડાવ્યા છે. IS દ્વારા આ પહેલા પણ હબ્દાને તબાહ કરવાની કોશિશ થઈ હતી, પરંતુ સ્થાનિકો વિરોધના કારણે તે બચી ગયો હતો. ઈરાકના વડા પ્રધાન હૈદર અલ આબદીએ કહ્યું કે, મસ્જિદોને તબાહ કરવી એ જેહાદીઓએ હાર માની લીધાની નિશાની છે. મોસુલ પર કબજા માટે આગળ વધી રહેલી ઈરાકી સેનાના કમાન્ડર મેજર જનરલ જોસેફ માર્ટિને જણાવ્યું કે, તેમના સૈનિકો મસ્જિદથી ૫૦ મીટર દૂર હતા ત્યારે જ IS એક ઐતિહાસિક અપરાધ કરી નાંખ્યો.