નવી દિલ્હીઃ દુબઈની જે ડબલ્યુ મેરિયટ માર્કિસ હોટેલમાં કામ કરનારો સેલિબ્રિટી શેફ (મહત્ત્વના રસોઈયા) અતુલ કોચરને તેમના એક ટ્વિટ અંગે નોકરીમાંથી છુટા કરી દેવાયા છે. કોચરે પ્રિયંકા ચોપરાના ક્વાન્ટિકોમાં દર્શાવાયેલી ભારતીયોની આતંકી છબી અંગે ફરી ટ્વિટ કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો. જ્યારે ક્વાન્ટિકોમાં આ એપિસોડ અંગે હિન્દુઓએ વિરોધ વ્યક્ત કરતા પ્રિયંકાએ ટ્વિટ કરીને માફી માંગી હતી. ત્યારબાદ કોચરે રિટ્વિટ કરતા લખ્યું હતું કે, એ બાબત બહુ દુઃખદ છે કે તમે એ હિન્દુઓની લાગણીની કદર ન કરી જે ગત ૨૦૦૦ વર્ષથી ઈસ્લામના આતંકનો શિકાર બની રહ્યા છે. તમારા માટે આ શરમજનક છે.
અતુલ કોચર મેરિયટ માર્કિસ હોટેલના રંગમહેલ રેસ્ટોરનાં સ્ટાર શેફ હતા. આ ટ્વિટ બાદ તેમણે જોકે ટૂંકમાં માફી માંગી હતી કે, મારું ટ્વિટ અર્થહિન છે, કેમકે મેં તેમાં ૨૦૦૦ વર્ષથી હિન્દુઓ આતંકનો શિકાર બન્યાનું નોંધ્યું છે.
જ્યારે વાસ્તવમાં ઈસ્લામ ૧૪૦૦ વર્ષ પૂર્વે અસ્તિત્વમાં આવ્યો છે. મને મારી ભૂલનો ખ્યાલ આવ્યો છે. અને હું મારા મુસ્લિમ દોસ્તો અને સમુદાયની માફી માંગું છું. તેમણે પોતાના મંતવ્યો ટ્વિટર પરથી ડિલીટ કરી દીધા હતા.