એર ઇંડિયા બોમ્બ બ્લાસ્ટ માટે ખાલિસ્તાનીઓ જ જવાબદાર

(કેનેડા કોર્નર)

Friday 03rd July 2026 06:28 EDT
 
 

ઓટાવા: એર ઇંડિયા ફ્લાઇટમાં બોમ્બ વિસ્ફોટના 41 વર્ષ બાદ કેનેડાએ આખરે કબૂલ્યું છે કે વર્ષ 1985માં 329 પ્રવાસીઓનો ભોગ લેનાર આ ઘટના માટે ખાલિસ્તાની ચરમપંથીઓ જવાબદાર છે. આ કબૂલાત ભારત દ્વારા લાંબા સમયથી લેવાયેલા વલણની પુષ્ટિ કરે છે જ્યારે કેનેડાની સરકારો દાયકાઓ સુધી ખાલિસ્તાની આંદોલનનું નામ લેવાનું ટાળતી રહી હતી.
આતંકવાદી હુમલાના ચાર દસકા કરતાં વધુ સમય પછી કેનેડિયન સિક્યુરિટી ઇન્ટેલિજન્સ સર્વિસ (CSIS)એ સ્પષ્ટ શબ્દોમાં કેનેડા સ્થિત ખાલિસ્તાની ચરમપંથીઓને આ હુમલા માટે જવાબદાર ઠેરવ્યા છે. CSISએ એર ઇન્ડિયા ફ્લાઈટ 182ની વરસી પર ફેસબુક પર જારી કરેલી પોસ્ટમાં લખ્યું હતું કે 23 જૂન 1985 ના રોજ કેનેડાસ્થિત ખાલિસ્તાની ચરમપંથીઓ દ્વારા મૂકાયેલા બોમ્બે વિમાનનો સંપૂર્ણ નાશ કરી દીધો હતો. તેમાં સવાર તમામ 329 લોકો માર્યા ગયા હતા.
કબૂલાતમાં કેમ વિલંબ કર્યો?
વર્ષ 2010માં પૂર્વ સુપ્રીમ કોર્ટ જસ્ટિસ જોન મેજરની અધ્યક્ષતાવાળી સત્તાવાર જાહેર તપાસ રિપોર્ટમાં તેને ખામીઓની શૃંખલા ગણાવાઇ હતી. સૌથી મોટી નિષ્ફળતા CSIS અને રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ વચ્ચે વર્ચસ્વની લડાઈ હતી. CSISએ બબ્બર ખાલસાના નેતા તલવિંદર સિંહ પરમાર પર નજર રાખી હતી પરંતુ એજન્સીએ સેંકડો કલાકોની મહત્વપૂર્ણ જાસૂસી રેકોર્ડિંગ્સ નષ્ટ કરી નાખી હતી. અને આ પુરાવા ગુનેગારોને સજા અપાવવામાં નિષ્ફળ ગયા હતા.
સમગ્ર ઘટનાક્રમ શું છે?
ટોરોન્ટોથી મુંબઈ જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ 182, બોઇંગ 747-200B વિમાન જેનું ઉપનામ 'સમ્રાટ કનિષ્ક' હતું. તે આયર્લેન્ડના દક્ષિણ-પશ્ચિમ તટ પાસે એટલાન્ટિક મહાસાગર ઉપર વિસ્ફોટનો શિકાર બન્યું હતું. પ્રતિબંધિત ખાલિસ્તાની સંગઠન બબ્બર ખાલસાના સભ્યોએ ચેક-ઇન કરેલા સામાનના ડબ્બામાં બોમ્બ મૂક્યો હતો. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે વિમાન હવામાં જ ટુકડે-ટુકડા થઈ ગયું હતું. આ હુમલો 11 સપ્ટેમ્બર 2001ના અમેરિકી હુમલાઓ સુધી વિશ્વ ઇતિહાસનો સૌથી ઘાતક વિમાન આતંકવાદ કાંડ માનવામાં આવતો હતો. મૃતકોમાં 268 કેનેડિયન, 27 બ્રિટિશ અને બાકીના ભારતીય હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter