નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં જાસૂસીના આરોપ હેઠળ ફાંસીની સજાનો સામનો કરી રહેલા ભારતીય નૌકાદળના પૂર્વ અધિકારી કુલભૂષણ જાધવને કોઈ પણ અવરોધ વિના, બિનશરતી કોન્સ્યુલર એક્સેસ આપવાના આંતરરાષ્ટ્રીય કોર્ટના આદેશોનો પાકિસ્તાને ભંગ કરીને બે ભારતીય રાજદૂતો જાધવને મળ્યા ત્યારે ૧૬મી જુલાઈએ પાકિસ્તાને અડચણો ઊભી કરી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. જાધવની ફાંસી સામે અપીલ કરવા તેમનું કાયદાકીય પ્રતિનિધિત્વ કરવા જાધવની લેખિત મંજૂરી લેતાં પણ ભારતીય અધિકારીઓને અટકાવાયા હતા. ઉપરાંત પાકિસ્તાને જાધવ સાથેની મુલાકાત માટે ખાતરી આપી હતી તેવું વાતાવરણ નહોતું. બિનશરતી અને અવરોધ વિના જાધવ સાથે મુલાકાતની પાકિસ્તાનની ખાતરીથી વિપરીત ભારતીય અધિકારીઓનાં વિરોધ છતાં પાકિસ્તાની અધિકારીઓ કુલભૂષણ જાધવ અને ભારતીય અધિકારીઓની નજીક ઊભા રહ્યા હતા.