ઓટ્ટાવાઃ કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નિએ તેમના નવા પ્રધાનમંડળમાં બે ભારતીય કેનેડિયનોને મહત્ત્વના મંત્રાલયનો કાર્યભાર સોંપ્યો છે. કાર્નિએ તેમની કેબિનેટમાં 58 વર્ષના અનિતા આનંદને વિદેશ પ્રધાન અને 41 વર્ષના મનિન્દર સિંધુને આંતરરાષ્ટ્રીય વેપાર પ્રધાન બનાવ્યા છે. કેનેડામાં લિબરલ પાર્ટીની જીત થયાના પખવાડિયા બાદ મંગળવારે વડાપ્રધાન માર્ક કાર્નિએ નવા પ્રધાનમંડળની જાહેરાત કરી હતી.
કેનેડામાં ગ્રામીણ નોવા સ્કોટિયામાં જન્મેલાં અને ઉછરેલાં અનિતા આનંદ 1985માં ઓન્ટારિયોમાં વસવા આવ્યા હતા. એક સમયે જસ્ટિન ટ્રુડોના અનુગામી ગણાતાં અનિતા આનંદે જાન્યુઆરીમાં જાહેર કર્યું હતું કે તેઓ સ્પર્ધામાંથી હટી રહ્યા છે અને તેઓ ચૂંટણી પણ નહીં લડે. જોકે, પહેલી માર્ચે અનિતા આનંદે તેમનો નિર્ણય ફેરવ્યો હતો. એ સમયે તેમણે જણાવ્યું હતું કે કેનેડા આપણાં દેશના ઈતિહાસમાં મહત્વના તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે એટલે હું મારો નિર્ણય બદલી રહી છું.
કેનેડાના નવા વડાપ્રધાનની કેબિનેટમાં 28 પ્રધાનો છે. તેમની સાથે દસ રાજ્ય પ્રધાનો પણ હશે. દસ રાજ્ય પ્રધાનોમાં આંતરરાષ્ટ્રીય વિકાસ ખાતામાં રણદીપ સરાઈની વરણી કરવામાં આવી છે.
અનિતા આનંદ અગાઉ સંરક્ષણ પ્રધાનની ભૂમિકા પણ ભજવી ચૂક્યા છે. ચૂંટણી અગાઉની સરકારમાં આનંદ ઈનોવેશન, સાયન્સ અને ઉદ્યોગ પ્રધાન હતા. તેમના સ્થાને મેલાની જોયને નવા ઉદ્યોગ પ્રધાન બનાવવામાં આવ્યા છે. આનંદે એક્સ પર પોસ્ટ મુકી જણાવ્યું હતું કે કેનેડાના વિદેશ પ્રધાન તરીકે મારી વરણી કરીને સન્માન કર્યું છે. હું વડા પ્રધાન કાર્નિ સાથે કામ કરવા આતુર છું.
અનિતા આનંદ વિદ્વાન, વકીલ અને સંશોધક તરીકે કામ કરી ચૂક્યા છે. તેઓ ટોરોન્ટો યુનિવર્સિટીમાં લોના પ્રોફેસર પણ રહી ચૂક્યા છે. જ્યાં તેઓ ઇન્વેસ્ટર પ્રોટેકશન એન્ડ કોર્પોરેટ ગવર્નન્સ ક્ષેત્રમાં જેઆર કિમ્બર ચેર તરીકે કાર્યરત હતા.
મનિન્દર સિંધુએ હોદ્દાના શપથ લીધા બાદ એક્સ પર જણાવ્યું હતું કે કેનેડાના આંતરરાષ્ટ્રીય વેપાર પ્રધાન તરીકે નિમણૂક થવી એ મારાં જીવનનું સૌથી મોટું સન્માન છે. વડાપ્રધાને મારામાં જે વિશ્વાસ મુક્યો છે તે બદલ હું તેમનો આભારી છું. હું સમગ્ર કેનેડામાં બહેતર પે ધરાવતી જોબ્સ સર્જવામાં સહાયરૂપ બનીશ. સિંધુ 2019થી બ્રામ્પટન ઇસ્ટ ખાતેથી ચાર વર્ષ એમપી રહ્યા છે. તેઓ ઉદ્યોગ સાહસિક તરીકે જાણીતા છે.