ટોરોન્ટોઃ કેનેડાના નોવા સ્કોટિયા પ્રાંતના ટ્રુરો શહેરમાં એક એપાર્ટમેન્ટમાં ૨૩ વર્ષીય ભારતીય વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો હતો. ભારતીય સમુદાયના સભ્યોને વંશીય કારણોસર તેની હત્યા થઇ હોવાની આશંકા છે. પોલીસે તેની ઓળખ પ્રભજોતસિંહ ખત્રી તરીકે કરી હતી અને ગંભીર ઇજાને કારણે જ તેનું મૃત્યુ થયું હતું.
તે લેયટોન્સ ટેક્સી સાથે તેમ જ ટ્રુરોમાં રેસ્ટોરન્ટમાં પણ કામ કરતો હતો. આ ઘટના સંદર્ભમાં પોલીસે એક વ્યક્તિની અટકાયત કરી હતી, પરંતુ ત્યારબાદ તેને છોડી દેવાયો હતો. પ્રભજોતસિંહ ખત્રી વર્ષ ૨૦૧૭માં અભ્યાસ માટે ભારતથી કેનેડા આવ્યો હતો. તેના મૃત્યુથી ભારતીય સમુદાયમાં આઘાતની લાગણી ફેલાઈ હતી. તેના મૃતદેહને ભારત મોકલવા ગોફંડમી ઝુંબેશ પણ શરૂ કરાઈ હતી. પ્રભજોતના મિત્રોને વંશીય કારણોસર આ હેટ ક્રાઇમ થયાની આશંકા છે.