નૈરોબીઃ કેન્યામાં કેટલાક સપ્તાહથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ભારે પુર આવવાની અને ભેખડો ધસી પડવાની ઘટનાઓ બને છે. વરસાદના કારણે દેશભરમાં ૧૫૯ લોકોનો જીવ ગયો છે. ઇસ્ટ આફ્રિકાના દેશોમાં ભારે વરસાદને કારણે પુર આવતાં ૨,૨૦,૦૦૦ લોકોને સ્થળાંતરની ફરજ પડી હતી.
બંધ તૂટતાં ૪૧નાં મૃત્યુ
સાઉથ કેન્યામાં દસમી મેએ ભારે વરસાદના કારણે બંધ તૂટી પડતાં પૂરના પાણીમાં સંખ્યાબંધ મકાનો તણાઈ ગયા હતાં અને આશરે ૪૧ લોકોનાં મૃત્યુ થયાં હતાં. કેનિયન સરકારે મૃત્યુઆંકમાં વધારો થઈ શકે તેવું જાહેર કર્યું હતું. નાકુરા શહેર નજીક દસમી મેએ સાંજે આ ઘટના બની હતી.
પ્રદેશના પોલીસ વડાએ જણાવ્યું હતું કે ૩૬ લોકોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. તણાઈ ગયેલા લોકોના મૃતદેહોને શોધવાની કવાયત તુરંત શરૂ કરાઈ હતી. દસમીના રોજ જ પોલીસને ૪૧ મૃતદેહ મળ્યા હતા, જેમાં વધારો થવાની શક્યતા સેવાઈ હતી. આ દુર્ઘટના સર્જાઈ ત્યારે લોકો સૂઈ રહ્યા હતા અને ભારે વરસાદમાં લોકો તણાઈ ગયા હતા.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ ડેમનો ઉપયોગ સિંચાઈ અને મત્સ્ય પ્રવૃત્તિ માટે થતો હતો. બંધ તૂટી જાય તો પાણીના વહેણની પૂરતી વ્યવસ્થા પણ નહોતી.
રાહત શિબિરો કાર્યરત
કેન્યા રેડક્રોસના અંદાજ મુજબ દુર્ઘટનાને કારણે ૫૦૦ પરિવારોને અસર પહોંચી હતી. દુર્ઘટના નૈરોબીથી ૧૫૦ કિ.મી.ના અંતરે સર્જાઈ હતી. દુર્ઘટના સ્થળે એક રાહત શિબિર શરૂ કરીને એકબીજાથી વિખૂટા પડી ગયેલા લોકો મળી શકે તે માટે તુરંત વ્યવસ્થા કરવામાં આવી હતી. દુર્ઘટનાને કારણે અનેક ગામો પ્રભાવિત થયા હતા. કેન્યા રેડક્રોસે જણાવ્યું હતું કે ૩૯ લોકોને પૂરના પાણીમાંથી ઉગારી લેવાયા હતા.