ઓટાવા: ઈરાન અને ઈઝરાયેલ-અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધે ઊર્જા પુરવઠાને લઈને ભારતની ચિંતાઓ વધારી દીધી છે. વૈશ્વિક ઊર્જા પુરવઠો ખરાબ રીતે પ્રભાવિત થવાની અસર ભારત પર પણ પડી છે અને દેશમાં એલપીજી અને નેચરલ ગેસની અછત વર્તાઇ રહી છે. પરિણામે ભારત સરકારે કોમર્શિયલ અને ઘરેલુ ગેસના વિતરણને લઈને તાત્કાલિક અસરથી નિયમો બદલવા પડ્યા છે. આ દરમિયાન કેનેડાએ ભારતને મદદરૂપ બનવા તત્પરતા દર્શાવી છે. વાસ્તવમાં ભારતની વધતી જતી ઊર્જા માંગને પૂરી કરવા માટે કેનેડાએ તાજેતરમાં ભારતને એલએનજી સપ્લાયનો પ્રસ્તાવ આપ્યો છે. કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે તેમનો દેશ એક ‘એનર્જી સુપરપાવર’ તરીકે ભારતની ઝડપથી વધતી જતી ઉર્જા જરૂરિયાતો પૂરી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. તેમણે કહ્યું કે ભારતની ઊર્જા માંગ 2040 સુધીમાં લગભગ બમણી થવાનો અંદાજ છે અને કેનેડા આ માટે ભરોસાપાત્ર ભાગીદાર બની શકે છે.
કાર્નીએ ગયા બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેનો પોતાનો એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં કાર્નીએ કહ્યું કે કેનેડા વિશ્વનું સૌથી ઓછું કાર્બન ઉત્સર્જન કરતું અને ભરોસાપાત્ર રીતે ઉત્પાદિત એલએનજી સપ્લાય કરે છે. તેમણે એમ પણ કહ્યું કે યુદ્ધને કારણે કતારથી સપ્લાય થતો ગેસ પુરવઠો પ્રભાવિત થયો છે.


