નવી દિલ્હીઃ ભારતના સૈન્ય દળોએ ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાન અને પીઓકેમાં સક્રિય આતંકવાદીઓની 9 છાવણીને નિશાન બનાવીને નેસ્તનાબૂદ કરી નાખી હતી. હવે જાણકારી મળી છે કે જૈશની બે છાવણીઓના તાર હમાસ સાથે પણ જોડાયેલા હતા. આતંકવાદી સંગઠન બહાવલપુરની મરકજ સુભાન અલ્લાહ તેમ જ નારોવાલ ખાતેની સરજાલ છાવણીનો ઉપયોગ આત્મઘાતી હુમલાખોર તૈયાર કરવા કરતું હતું. તે બંને છાવણીના તાર હમાસ સાથે સંકળાયેલા હતા. તે સ્થાને દાણચોરી રાહે આવતા ‘નાટો’ના હથિયારોનો પણ સંગ્રહ થતો હતો.
અધિકારીઓએ જાણકારી આપી કે 15 એકર વિસ્તારમાં ફેલાયેલી બહાવલપુર છાવણી રઉફ અસગરની દેખરેખમાં સંચાલિત હતી. અફઘાનિસ્તાનમાં ‘નાટો’ સૈનિકો જે હથિયારો અને શસ્ત્ર સરંજામ મૂકતા ગયા તેને જમા કરવા માટે પણ આ છાવણી કુખ્યાત હતી. અફઘાનિસ્તાનમાં લડી રહેલા જૈફ કમાન્ડર્સ આ છાવણી ખાતે આવતા જતા રહેતા હતા. ખૈબર પખ્તુનખ્વાના અપરાધીઓના નેટવર્કના માધ્યમથી અહીં એમ-4 સિરીઝની રાઈફલ્સ અને અન્ય હથિયાર એકઠા થતા હતા. છાવણીમાં સ્નાઈપર રાઈફલ્સ, નાઈટ વિઝન ડિવાઈસ સહિતનો શસ્ત્ર સરંજામ જમા થયેલો હતો.
પેલેસ્ટાઈનના હમાસ જૂથની રણનીતિઓ શીખવા માટે પણ આ છાવણીનો ઉપયોગ થતો હતો. પેલેસ્ટાઈન હમાસ સમૂહ અને જૈશની સાઠગાંઠ વર્ષોથી ચાલી આવે છે. હમાસની કાર્યપદ્ધતિ શીખીને જ જૈશ ઘૂસણખોરી માટે સુરંગો અને પેરાગ્લાઇડિંગનો ઉપયોગ શરૂ કર્યો હતો. જૈશ અને હમાસનું નેતૃત્વ નિયમિત સંપર્કમાં રહેતું આવ્યું છે.