કાબુલઃ તાલિબાનની સરકારે અફઘાનિસ્તાનમાંથી ભારત આવી રહેલાં 60 શીખોને રોકી રાખ્યા હતા. એ મુદ્દે શિરોમણિ ગુરદ્વારા પ્રબંધક કમિટીએ કેન્દ્ર સરકારને હસ્તક્ષેપ કરવાની વિનંતી કરી હતી. શીખ નાગરિકો તેમની સાથે પવિત્ર ગ્રંથ લઈને આવતા હતા. તેમને આવવા ન દેવાયા તે મુદ્દે આ કમિટીએ તાલિબાનની ટીકા કરી હતી. અફઘાનિસ્તાનમાંથી 60 શીખ નાગરિકો પવિત્ર ગુરૂ ગ્રંથ સાહિબને સાથે લઈને ભારત આવવાના હતા. એ પહેલાં અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે એ તમામ શીખ નાગરિકોને દેશ છોડતા અટકાયા હતા. તેમને ભારત આવવા દેવાયા ન હતા. આ ઘટનાની શિરોમણિ ગુરદ્વારા પ્રબંધક કમિટીએ ઝાટકણી કાઢી હતી અને તાલિબાનની સરકારની ટીકા કરી હતી. આ કમિટીએ કેન્દ્ર સરકારને આ બાબતે હસ્તક્ષેપ કરવાની વિનંતી કરી હતી.
કમિટીએ એવું પણ કહ્યું હતું કે તાલિબાન સાથે સંવાદ કરીને એ નિશ્વિત કરવું જરૂરી બની ગયું છે કે તે અમારી ધાર્મિક ભાવનાની અવગણના ન કરે. અફઘાનિસ્તાનમાં શીખ સમુદાયને વારંવાર નિશાન બનાવવામાં આવે છે તે બાબતે કેન્દ્ર સરકાર દખલ કરીને કંઈક યોગ્ય ઉકેલ લાવે તેવું નિવેદનમાં કહેવાયું હતું. અફઘાનિસ્તાનમાં ગુરદ્વારા પર આતંકી હુમલા વધ્યા છે. એના કારણે અફઘાનિસ્તાનમાં રહેતા શીખો ત્યાંથી સુરક્ષા માટે ભારત આવી રહ્યા છે.