કાઠમાંડુઃ નેપાળમાં દિવાળી કંઈક અલગ રીતે જ મનાવવામાં આવે છે. ધનતેરસથી લઈને ભાઈબીજ સુધી અહીં વિવિધ પ્રાણી-પશુની પૂજા કરવામાં આવે છે. અહીં દિવાળીના દિવસો કુકુર તિહારના પર્વ તરીકે ઓળખાય છે. આ પર્વના દિવસે શ્વાનને ભૈરવના દૂત માનીને તેમની પૂજા થતી હોય છે. ભારતીય સીમાવર્તી ગામોમાં પણ આવી પરંપરા છે. જોકે હાલમાં આ પરંપરા કેટલાંક ગામ સુધી જ સીમિત રહી છે.
નેપાળના મધેસી વિસ્તારમાં દિવાળીની ઉજવણી ખૂબ ધામધૂમથી થાય છે. પ્રાણી-પશુ તરફ પ્રેમ દર્શાવતા આ તહેવારની શરૂઆત ધનતેરસથી થાય છે. કુકુર તિહાર પર્વ મનાવતાં ક્ષેત્રમાં શ્વાનનાં મસ્તકે લાલ રાળ લગાવવામાં આવે છે. શ્વાને ફૂલનો હાર પહેરાવીને મીઠાઈનો ભોગ ધરે છે. લોકો માને છે કે ભૈરવદેવ તેમને તમામ દુઃખમાંથી બચાવે છે.
નેપાળમાં પાંચ દિવસ સુધી તિહાર પર્વ મનાવવામાં આવે છે. પ્રથમ દિવસે યમરાજાના દૂતના રૂપમાં કાગડાની પૂજા થાય છે. બીજા દિવસે ભૈરવના પ્રતિનિધિ શ્વાનની પૂજા થાય છે. ત્રીજા દિવસે લક્ષ્મીસ્વરૂપ ગાયની પૂજા થાય છે. ચોથા દિવસે શક્તિના દેવતા બળદની પૂજા થાય છે. પાચમાં અને અંતિમ દિવસે ભાઈબીજ મનાવવામાં આવે છે. તિહાર પર્વમાં મધેસી ક્ષેત્રમાં રજાઓ રહે છે.