ચેર્નોબિલઃ ૩૩ વર્ષ પૂર્વે ન્યુક્લિયર બ્લાસ્ટમાં ચાર હજારથી વધુ લોકોનાં મૃત્યુ થયા હતા અને સેંકડો લોકો રેડિયેશનની અસરમાં આવ્યા હતા તે ચેર્નોબિલ શહેરને યુક્રેનની સરકારે ટૂરિસ્ટ ડેસ્ટિનેશન બનાવવાનું નક્કી કર્યું છે. હવે સરકાર તેને વિશ્વનું એક અનોખું, અલબત્ત જોખમી, ટુરિસ્ટ ડેસ્ટિનેશન બનાવવા કટિબદ્ધ થઈ છે. છેલ્લે ૨૦૧૧માં અહીં અત્યંત નાનકડા એરિયાને એક્સક્લ્યુઝન ઝોન બનાવી મુલાકાતીઓને પ્રવેશની છૂટ હતી, પરંતુ હવે ચેર્નોબિલના જે પ્રિપ્યાટ ગામમાં ન્યુક્લિયર પ્લાન્ટ હતો તેનાથી થોડા સલામત અંતર સુધીના વિસ્તારમાં અત્યંત કડક સુરક્ષા અને માત્ર ગાઈડેડ ટૂર્સ સાથે પ્રવાસીઓને દાયકાથી અવાવરુ બનેલા આ નગરની હાલત જોવાની તક મળશે. કદાચ પરમાણુ શક્તિના ફાયદાઓ આગળ ધરી તેનો પ્રચાર કરી રહેલા વિશ્વના મોટા સમૂહ સામે લાલબત્તી ધરવાનો આ પ્રયાસ હોઈ શકે તેમ ઘણા માની રહ્યા છે.