ઈસ્લામાબાદઃ પાકિસ્તાનમાં લઘુમતીઓનું બળજબરીથી ધર્માંતરણ થઇ રહ્યું છે અને આ ધર્માંતરણ અટકાવવામાં પાકિસ્તાન સરકાર નિષ્ફળ રહી હોવાની પોલ પાકિસ્તાનની જ સંસદીય સમિતિ દ્વારા જ ખુલ્લી પડાઈ છે. પાકિસ્તાન સંસદીય સમિતિએ તાજેતરમાં કહ્યું છે કે પાકિસ્તાનની ઇમરાન ખાન સરકાર લઘુમતીઓનું બળજબરીથી થઇ રહ્યું ધર્માંતરણ અટકાવવામાં સદંતર નિષ્ફળ રહી છે. પાકિસ્તાનમાં બળજબરીથી થતા ધર્માંતરણને અટકાવવા માટે એક વિશેષ સંસદીય કમિટીની રચના કરાઈ છે. આ કમિટીના અગેવાન સાંસદ અનવરુલ હક કાકર દ્વારા હાલમાં જ સિંધ પ્રાંતની મુલાકાત લેવાઈ હતી. તેઓ એવા હિંદુ પરિવારને મળ્યા હતા જેમના પર ઇસ્લામિક કટ્ટરપંથીઓએ ધર્માંતરણ કરવા માટે દબાણ કર્યું હોય કે ધર્માંતરણ કરાવી નાખ્યું હોય. પાકિસ્તાની મીડિયા ધ ડોન અખબારના રિપોર્ટ અનુસાર આ સમિતિના વડાએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે, અમારી તપાસમાં સામે આવ્યું છે કે પાકિસ્તાન સરકાર લઘુમતીઓના બળજબરીથી થતા ધર્માંતરણને અટકાવવામાં નિષ્ફળ રહી છે.
કમિટીએ બળજબરીથી થતા ધર્માંતરણના વિવિધ પ્રકારોની પણ નોંધ લીધી છે અને જણાવ્યું છે કે કોઇને સારુ જીવન આપવાની લાલચ આપી ધર્માંતરણ કરાવવું તે પણ બળજબરીથી થતા ધર્માંતરણની વ્યાખ્યામાં આવે છે જ્યારે કોઇની આર્થિક સ્થિતિ સુધારવા માટે થતા ધર્માંતરણને શોષણ માનવામાં આવે છે. આ સાથે તેમણે કટ્ટરવાદી મુસ્લિમોનો પણ ઉધડો લીધો હતો અને કહ્યું હતું કે કેટલાક એવા પણ કેસો સામે આવ્યા છે કે જેમાં હિંદુ સમાજની યુવતીઓને બહાર આવી લગ્ન કરવાની સલાહ આપતા હોય છે, પણ પોતાની પુત્રીઓની સાથે તેઓ આવું નથી કરતા. સૌથી ખરાબ બાબત એ છે કે આવી યુવતીઓ કે પરિવારની જે પીડા છે તેના પર કોઇ ધ્યાન જ નથી આપી રહ્યું.