વોશિંગ્ટનઃ જો ભારતને એમ લાગે કે પાકિસ્તાન તેની સામે પરમાણુ શસ્ત્રનો ઉપયોગ કરવાની તૈયારીમાં છે તો ભારત પોતાના અણુશસ્ત્રોનો પહેલા ઉપયોગ નહીં કરવાની નીતિને બાજુએ મૂકીને પાકિસ્તાન સામે હુમલો કરી શકે છે. ભારત પાકિસ્તાનને પહેલાં આણ્વિક શસ્ત્રોનો ઉપયોગ કરવાની તક નહીં આપીને પહેલો વાર કરી શકે. એવી ચર્ચા વોશિંગ્ટનમાં ઇન્ટરનેશનલ ન્યુક્લિયર પોલિસી કોન્ફરન્સમાં તાજેતરમાં થઈ હતી.
મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજીમાં સાઉથ એશિયન ન્યૂક્લિયર સ્ટ્રેટજીના નિષ્ણાત વિપિન નારંગે આ કોન્ફરન્સમાં ભારતની આણ્વિક નીતિ અંગે ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, પાકિસ્તાનને પહેલા અણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની તક ભારત નહીં આપે.
આ એવી સ્થિતિ છે કે જ્યાં ભારત પહેલું પગલું ભરી શકે છે. સાઉથ એશિયામાં ન્યુક્લિયર ડાયનામિક્સને લઇને આપણી વિચારધારા પરંપરાગત જ રહી છે. આ ક્ષેત્રમાં અણુ શસ્ત્રોનો ઉપયોગ પહેલા કોણ કરશે, તેને લઇને ભારતમાં ઘણા વિચારની જરૂર છે.