નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાયસિના ડાયલોગના બીજા એડિશનમાં સંબોધન દરમિયાન પોતાના પાડોશી દેશો સાથેના સંબંધોની વાત કરી હતી. ખાસ કરીને ચીનને ટકોર કરવા સાથે તેમણે પાકિસ્તાનની ઝાટકણી કાઢી હતી. તેમણે જણાવ્યું કે, મારું સ્વપ્ન છે કે એશિયામાં ભારત અને તેની આસપાના દેશો એક પરિવારની જેમ રહે. આ દરમિયાન તેમણે પાકિસ્તાનને આડકરતી રીતે જણાવ્યું કે, પાકિસ્તાન પણ મંત્રણા કરવા અને વાત કરવા માગતો હોય તો તેણે આતંકવાદનો રસ્તો છોડવો પડશે. તેમણે ચીનને પણ ટકોર કરતા જણાવ્યું કે, બે પાડોશી દેશો વચ્ચે મતભેદ હોય તે સામાન્ય બાબત નથી. બંને દેશોએ પોતાના હિતોનું ધ્યાન રાખીને અને પરસ્પર સન્માનને ધ્યાનમાં રાખીને આગળ વધવું પડશે તો જ સંબંધો જળવાશે.
પાડોશમાં એક્તા
મોદીએ વધુમાં જણાવ્યું કે, હું હંમેશાં ભારત માટે એકીકૃત પાડોશની ઈચ્છા રાખતો આવ્યો છું. તેના કારણે જ અમારી સરકારની શપથવિધિમાં સાર્ક દેશોને આમંત્રણ આપ્યું હતું. તે સમયે પાકિસ્તાને પણ હાજરી આપી હતી.
દેશની સુરક્ષા પ્રથમ
વડા પ્રધાને આતંકવાદના મુદ્દે જણાવ્યું કે, મારા દેશ અને દેશવાસીઓની સુરક્ષાને હું પ્રાથમિકતા આપું છું. આતંકવાદ મુદ્દે અમે સહેજપણ બાંધછોડ કરીશું નહીં. માત્ર અમારા વિશે જ વિચાર કરવો અને સ્વાર્થી બનીને રહેવું તે અમારી સંસ્કૃતિમાં નથી અને અમારો સ્વભાવ પણ નથી.