કરાંચીઃ પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠન સિપાહ-એ-સાહબા પાકિસ્તાનને શિયા સમુદાય વિરુદ્ધ કરેલી ઉશ્કેરણીના પગલે ૧૨મી સપ્ટેમ્બરે કરાચીમાં સુન્ની સમુદાયના હજારો લોકો સડકો પર ઊતરી આવ્યા હતા. સડકો પર ઊતરી આવેલી હજારો સુન્નીઓની ભીડે શિયાઓને કાફિર ગણાવી તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ ઉચ્ચારી હતી. અખબારી અહેવાલો પ્રમાણે ગયા મહિને મોહરમના પ્રસંગે આશૂરાના જુલૂસનું ટેલિવિઝન ચેનલ પર પ્રસારણ કરાયું હતું જેમાં કેટલાક શિયા ધર્મગુરુ દ્વારા ઇસ્લામ વિરોધી ટિપ્પણી કરાઈ હોવાનો આરોપ મુકાયો હતો. પાકિસ્તાનના સામાજિક કાર્યકર આફરીને ટ્વિટ કરીને જણાવ્યું કે આ આરોપ બાદ સંખ્યાબંધ શિયા મુસ્લિમો પર ધાર્મિક પુસ્તક વાંચવા અને આશૂરાના જુલૂસમાં ભાગ લેવા માટે હુમલા કરાયા છે. કરાચીમાં યોજાયેલા દેખાવોમાં આતંકવાદી સંગઠન સિપાહ-એ-સાહબા દ્વારા શિયા મુસ્લિમોને ધમકી આપવામાં આવી હતી.