નવી દિલ્હી: અમદાવાદમાં સર્જાયેલા વિમાન અકસ્માતે બોઈંગના ડ્રીમલાઈનર વિમાનોની વિશ્વસનીયતા સામે સવાલ પેદા કર્યા છે. ટેક્નિકલ ખામી, સોફ્ટવેર બગ્સ અને સુરક્ષા ચેતવણીનો આ વિમાનનો લાંબો ઈ તિહાસ રહ્યો છે. બોઇંગ 787 ડ્રીમલાઈરને ભવિષ્યનું વિમાન કહેવાતું હતું. હળવું વજન, લાંબી રેન્જ અને આધુનિક ટેક્નિકને કારણે તેને એવિએશનની દુનિયામાં ગેમ ચેન્જર મનાયું હતું. પરંતુ છેલ્લા કેટલાક વર્ષમાં આ વિમાન ટેક્નિકલ ખામી, સોફ્ટવેર બગ્સ અને બેટરી ફેલ થવા જેવી ગંભીર સમસ્યાઓનો શિકાર બન્યું છે. ભારત સહિત સમગ્ર દુનિયામાં ઘણી વાર આ વિમાનોને ગ્રાઉન્ડ કરવા પડયા છે. આ વિમાનની પહેલી ગરબડ 2013ના જાન્યુઆરી મહિનામાં સામે આવી હતી જ્યારે તેની લિથિયમ આયન બેટરી પેકમાં લીકેજની સમસ્યા આવી હતી. જાપાનની નિપ્પોન એરવેઝ અને જાપાન એરલાઈન્સની ફ્લાઇટ્સમાં આ સમસ્યા ગંભીર સ્તરે પહોંચી હતી ત્યારબાદ અમેરિકાની એજન્સી FAAએ સમગ્ર દુનિયામાં ડ્રીમલાઈ નરની ઉડાનો સામે રોક લગાવી દીધી હતી. ભારતે પણ તમામ છ ડ્રીમલાઈનરને ગ્રાઉન્ડ કરવાના આદેશ આપ્યા હતા.