નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થની અલ્બાનીઝ 8 માર્ચથી 11 માર્ચ દરમિયાન ભારતના પ્રવાસે છે. દ્વિપક્ષીય મુદ્દાઓની ચર્ચા કરવાની સાથોસાથે તેઓ ભારતમાં હોળી રમશે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે અમદાવાદ ખાતે રમાનારી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટ મેચ પણ નિહાળશે. વર્ષ 2017 પછી ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન પહેલીવાર ભારતની મુલાકાતે આવી રહ્યા છે. અલ્બાનીઝ અમદાવાદ ઉપરાંત મુંબઇ અને નવી દિલ્હીની મુલાકાત લેવાના છે. આ મુલાકાતથી બંને દેશો વચ્ચેના વ્યૂહાત્મક અને આર્થિક સંબંધો ઉપરાંત બંને દેશોના લોકોના સંબંધ પણ ગાઢ બનશે.
ભારતની મુલાકાતે પહોંચતાં પહેલાં અલ્બાનીઝે જણાવ્યું હતું કે, ‘ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેના મજબૂત સહયોગ સંબંધ પ્રદેશની સ્થિરતા માટે મહત્ત્વના છે. તે પછી વર્ષના મધ્ય ભાગમાં ક્વાડ નેતાઓની શિખર માટે ઓસ્ટ્રેલિયામાં વડા પ્રધાન મોદીને આવકારીશ. ફરી સપ્ટેમ્બરમાં જી-20 નેતાઓની શિખર બેઠકમાં ભારતની મુલાકાત લઇશ.' અલ્બાનીઝ તેમના વેપાર અને પર્યટન પ્રધાન ડોન ફેરેલ તેમ જ સંસાધન પ્રધાન મેડેલાઇન કિંગ ઉપરાંત બિઝનેસ અગ્રણીઓના પ્રતિનિધિ મંડળ સાથે ભારતની મુલાકાતે આવવાના છે.
ઓસ્ટ્રેલિયા-ભારત વાર્ષિક શિખર બેઠક
ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન અલ્બાનીઝ અને વડા પ્રધાન મોદી ઓસ્ટ્રેલિયા-ભારતના નેતાઓની વાર્ષિક શિખર બેઠકમાં ભાગ લેશે. બેઠકમાં તેઓ વેપાર, રોકાણ, રિન્યૂએબલ એનર્જી, ટેકનોલોજી, સંરક્ષણ અને સુરક્ષા સહયોગ જેવા મુદ્દે ચર્ચાવિચારણા કરશે. ઓસ્ટ્રેલિયાના વિદેશ પ્રધાન પેન્ની વોંગે તાજેતરમાં જ નવી દિલ્હીની મુલાકાત લીધી હતી. તેમણે અહીં ક્વાડ વિદેશ પ્રધાનોની બેઠક અને જી-20 વિદેશ પ્રધાનોની બેઠકમાં પણ ભાગ લીધો હતો. ગયા મહિને તેમણે ઓસ્ટ્રેલિયામાં વિદેશ પ્રધાન એસ.જયશંકર સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી.