ઓટ્ટાવાઃ કેનેડામાં માર્ક કાર્ની વડાપ્રધાન બન્યા પછી ભારત-કેનેડા સંબંધો હવે ફરી પૂર્વવત્ થવાની દિશામાં આગળ વધી રહ્યા છે. કાર્નીએ તાજેતરમાં કહ્યું હતું કે તેમણે ખાલિસ્તાની આતંકી હરદીપસિંધ નિજજરની હત્યા મામલે ટિપ્પણી કરતા પહેલાં તકેદારી રાખવી પડશે કેમ કે આ ન્યાયિક પ્રક્રિયા સાથે જોડાયેલી બાબત છે. તેમનું આ નિવેદન એવા સમયે આવ્યું કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેનેડાના આલ્બર્ટામાં કેનાનાસ્કિસ ખાતે જી-7 શિખર બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા હતા અને કાર્ની સાથે તેમણે દ્વિપક્ષી વાટાઘાટો પણ કરી હતી. ભારત અને કેનેડાએ એકબીજાની રાજધાનીમાં હાઈ કમિશનર પુનઃ નીમવાની જાહેરાત કરી છે. બંને દેશો સંપૂર્ણ રાજદ્વારી સેવાઓ પુનઃ શરૂ કરવા તેમજ વ્યાપાર મંત્રણા પણ ફરી હાથ ધરવા સંમત થયા છે. વડાપ્રધાન મોદી અને કાર્ની નવા હાઈ કમિશનર નીમવા પણ સંમત થયા હતા. બંનેએ પરસ્પર આદર, કાયદાના શાસન, સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાના સિદ્ધાંત પ્રત્યે પ્રતિબદ્ધતા પર આધારિત ભારત-કેનેડા સંબંધોના મહત્ત્વને પુનઃ પુષ્ટિ આપી હતી.