નવી દિલ્હીઃ જાપાનના પૂર્વ વડા પ્રધાન શિન્જો આબે ભારતની સૌથી વધુ મુલાકાત લેનારા વડા પ્રધાન હતા. વડા પ્રધાન મોદી તથા શિન્જો વચ્ચે સારી મિત્રતા હતી. બંનેએ વારાણસીના દશાશ્વમેધ ઘાટ પર ગંગા આરતી કરી હતી. જ્યારે અમદાવાદના સાબરમતી આશ્રમમાં શિન્જો મહાત્મા ગાંધી આગળ નતમસ્તક થયા હતા.
• વ્યૂહાત્મક સંબંધોઃ ભારત અને જાપાન વચ્ચે અસૈન્ય પરમાણુ સમજૂતી મહત્ત્વપૂર્ણ પહેલ હતી. આ સમજૂતીએ પરમાણુ સપ્લાય સમૂહના દેશો સુધી ભારતના અવરોધોને દૂર કરી દીધા. ભારત અને જાપાન વચ્ચે 2020માં સંરક્ષણ બાબતોમાં સપ્લાય અને સેવાઓના પારસ્પરિક જોગવાઈની સંધિ પર હસ્તાક્ષર થયા.
• કાશીને ક્યોટો સિટી બનાવવા ઇચ્છાઃ 2014માં જ્યારે મોદીએ જાપાનની મુલાકાત લીધી તે સમયે બંને દેશો વચ્ચે કાશીને ક્યોટો સિટીની જેમ વિકસિત કરવા સમજૂતી કરી.
• સંબંધોને નવો ચહેરોઃ 2001માં ભારત-જાપાન ગ્લોબલ પાર્ટનરશિપનો પાયો નાખ્યો હતો. 2005માં દ્વિપક્ષીય શિખર સંમેલન પર સંમતિ સધાઈ. 2006માં પીએમ આબે અને પીએમ મનમોહન સિંહે ઈન્ડિયા જાપાન સ્ટ્રેટજિક એન્ડ ગ્લોબલ પાર્ટનરશિપ પર હસ્તાક્ષર કર્યા હતા. 2007માં વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારી પર હસ્તાક્ષર કર્યા.
• અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેનઃ ભારતની પ્રથમ બુલેટ ટ્રેન જાપાનની મદદથી જ બને છે. આશરે રૂ. એક લાખ કરોડ જાપાન લગાવ્યા છે.