ઈસ્લામાબાદઃ પાકિસ્તાનની પંજાબ પ્રાંતની સરકારે રાવલપિંડીના કૃષ્ણ મંદિરના જિર્ણોદ્ધાર માટે રૂ. ૨ કરોડ જારી કર્યા છે. સ્થાનિક મીડિયા પ્રમાણે, આ રકમ મંદિરને પૂજા પાઠ અને હિન્દુ તહેવારો માટે અનુરૂપ બનાવવા ફાળવાઈ છે.પાકિસ્તાનના રાવલપિંડી અને ઈસ્લામાબાદમાં આ એક જ કૃષ્ણ મંદિર છે, જ્યાં નિયમિત પૂજા થાય છે. સવારે અને સાંજે બંને સમયે નિયમિત પૂજા થાય છે. તેમાં ૬થી ૭ લોકો હોય છે. પાકિસ્તાની મીડિયાના જણાવ્યા પ્રમાણે, ઈવેક્યૂઈ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડ (ઈટીપીબી)ના ડેપ્યુટી એડમિનિસ્ટ્રેટર મોહમ્મદ આસિફે જણાવ્યું હતું કે સરકારે પંજાબ એસેમ્બ્લીના સભ્યોની માગણી પછી ૨ કરોડ રૂપિયા ફાળવ્યા છે. તેમણે કહ્યું હતું કે ટૂંકમાં જ તેમાં કામ શરૂ થઈ જશે. તેના માટે ટીમ નિરીક્ષણ પણ કરી ચૂકી છે. કોઈ રીતે કામ થવાનું છે એ પણ નક્કી થઈ ગયું છે. જે જગ્યાએ નવું નિર્માણ થશે, તે બંધ રાખવામાં આવશે. જેવું મંદિરમાં કામ પુરું થશે કે લોકોનું આગમન થવા લાગશે.