મુંબઇઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પોતાના ઓઇલ-ટુ-કેમિકલ (ઓટુસી) બિઝનેસનો ૨૦ ટકા હિસ્સો સાઉદી અરામકોને વેચવા માટેની ૧.૧૧ લાખ કરોડ રૂપિયાની પ્રસ્તાવિત ડીલનું ફરી મૂલ્યાંકન કરશે. રિલાયન્સ દ્વારા ગયા શુક્રવારે મોડી સાંજે જારી કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે ઓઇલ-ટુ-કેમિકલ બિઝનેસને અલગ કરવા અંગે એનસીએલટીમાં કરવામાં આવેલી અરજી પાછી ખેંચાશે. મુકેશ અંબાણીની કંપની આ સોદા અંગે અગાઉ પણ બે વખત જાતે જ નક્કી કરેલી સમયમર્યાદા ચૂકી ગઇ હતી.
રિલાયન્સના જણાવ્યા પ્રમાણે બન્ને કંપનીઓ વચ્ચે આ મુદ્દે ઓગસ્ટ ૨૦૧૯માં એક કરાર પર હસ્તાક્ષર થયા હતા. છેલ્લા બે વર્ષમાં બન્ને પક્ષોએ ડ્યુ ડિલિજન્સ પ્રક્રિયા પૂરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે કંપનીનો બિઝનેસ પોર્ટફોલિયો હાલ વિકસિત થવાની પ્રક્રિયામાં છે અને રિલાયન્સ રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં આગળ ધપવા માગે છે. આ સ્થિતિમાં આરઆઇએલ અને અરામકો બન્નેનું માનવું છે કે બન્ને પક્ષોએ ઓટુસી બિઝનેસમાં પ્રસ્તાવિત રોકાણ માટે નવેસરથી મૂલ્યાંકન કરવું જોઈએ.