વોશિંગ્ટનઃ અમેરિકા અને ઇરાન વચ્ચે સધાયેલી શાંતિ સમજૂતીને વિશ્વભરના નેતાઓ રાજદ્વારી સફળતાના રૂપમાં જોઈ રહ્યા છે. આ શાંતિ સમજૂતીએ પશ્ચિમ એશિયામાં સ્થિરતા પાછી ફરશે તેવી આશાઓને બળવત્તર કરી છે.
અમેરિકી પ્રમુખ ટ્રમ્પે સમજૂતીની જાહેરાત કર્યા પછી કતાર, તુર્કીયે, બ્રિટન, જર્મની અને ફ્રાન્સ સહિત અનેક દેશોઓ સમજૂતીને વધાવી લીધી છે. વિશ્વભરના નેતાઓનું માનવું છે કે આ સમજૂતી માત્ર પ્રાદેશિક તણાવને ઘટાડશે એટલું જ નહીં, પરંતુ વૈશ્વિક વેપાર, ઉર્જા પુરવઠા અને સમુદ્રી પરિવહન ક્ષેત્રને પણ રાહત આપશે. હોર્મુઝ ખાડી ફરી ખુલવાની સંભાવના ખુલ્લી થઈ તે બાબતને સમજૂતીની સૌથી મોટી ઉપલબ્ધિ માનવામાં આવી રહી છે.
યુએનના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસે સમજૂતીને આવકારતાં જણાવ્યું હતું કે આ સમજૂતી આ સંઘર્ષના સ્થાયી સમાધાનની દિશામાં મહત્વનું પગલું છે. પાકિસ્તાન, કતર, ઈજીપ્ત, સાઉદી અરબ તેમ જ તૂર્કીયેએ નિભાવેલી ભૂમિકાની તેમણે પ્રશંસા કરી હતી.
કતરના વડાપ્રધાન અને વિદેશ પ્રધાન મોહમ્મદ બિન અબ્દુલરહમાન અલ થાનીએ પણ સમજૂતીને અનુકુળ વાતાવરણ ઉભું કરવામાં પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય પક્ષોએ નિભાવેલી ભૂમિકાની પ્રશંસા કરતાં સમજૂતીને આવકારી હતી. તુર્કીયેના પ્રમુખ રેચેપ તૈયપ એર્દોગને પણ સમજૂતીને આવકારતાં કહ્યું હતું કે સમગ્ર વિશ્વ લાંબા સમયથી આ સમજૂતીની પ્રતિક્ષા કરી રહ્યું હતું.


