ઈસ્લામાબાદઃ જમ્મુ કાશ્મીર સરહદે સતત શસ્ત્રવિરામ ભંગ કરીને સતત નાપાક હરકતો કરી રહેલા પાકિસ્તાને ભારતીય સેનાના બે જવાન શહીદ થયા પછી સત્તાવાર નિવેદન કર્યું છે કે, ભારત અને પાકિસ્તાન પરમાણુ રાષ્ટ્રો હોવાથી તેમની વચ્ચે યુદ્ધ શક્ય નથી, પરંતુ અમારી શાંતિને નબળાઈ સમજવાની ભારત ભૂલ ના કરે. પાકિસ્તાની સેના જમ્મુ કાશ્મીર સરહદે થઇ રહેલા શસ્ત્રવિરામ ભંગનો દોષનો ટોપલો પણ ભારતીય સેના પર જ ઢોળી રહી છે.
પાકિસ્તાની સેનાના ડિરેક્ટર જનરલ ઓફ ઇન્ટર સર્વિસીસ પબ્લિક રિલેશન્સના મેજર જનરલ આસિફ ગફૂરે કહ્યું હતું કે, ભારતીય સેનાએ ૨૦૧૮ની શરૂઆતથી અત્યાર સુધી ૧,૦૭૭ વખત શસ્ત્રવિરામ ભંગ કર્યો છે. અમે અમારી સુરક્ષા કરીએ છીએ અને સરહદે શાંતિ જાળવી રાખવા પણ મક્કમ છીએ, પરંતુ ભારતે તેને અમારી નબળાઈ સમજવાની ભૂલ ના કરવી જોઈએ.