ન્યૂ યોર્ક: કોરોના સંકટને કારણે લોકડાઉન હોવાથી દુનિયામાં આશરે ૪૦૦ કરોડ લોકો પોતાનાં ઘરોમાં જ કેદ થઇ ગયા છે. અત્યાર સુધી કોરોનાના ૩૧ લાખથી વધુ દર્દી સામે આવ્યા અને બે લાખથી વધુ દર્દી મૃત્યુ પામ્યા હોવા છતાં તેની કોઈ વેક્સિન કે સારવાર મળી શકી નથી. આ સંજોગોમાં લોકડાઉન ક્યારે અને કેવી રીતે ખૂલશે તે અંગે અનેક આશંકાઓ પ્રવર્તે છે. આ માહોલમાં ગ્લોબલ ડેટા એજન્સી સ્ટેટિસ્ટાએ કોવિડ-૧૯ બેરોમીટર જાહેર કર્યું છે. તેના માધ્યમથી એ જાણવાનો પ્રયાસ કરાયો હતો કે કોરોના સંકટ પછી આપણા જીવન પર શું અસર થશે? રોજિંદા જીવનમાં કયાં કયાં પરિવર્તન આવશે? તેમાં ૪૯ ટકા લોકોએ કહ્યું કે તે ભીડભાડ ધરાવતી જગ્યાએ પણ નહીં જાય. જોકે ૫૧ ટકા લોકોએ સ્વાસ્થ્ય સેવાઓમાં સુધારાની આશા વ્યક્ત કરી હતી. રિપોર્ટ મુજબ આ બેરોમીટર અમેરિકાને ધ્યાનમાં રાખી બનાવાયું છે પણ તેને વૈશ્વિક સ્તરે લાગુ કરી શકાય છે.